બોલો, કલ્યાણ-ડોંબિવલીના 9,000 ઘરમાં ‘આ’ કારણે Black out

મુંબઈઃ ઉનાળાના પ્રારંભથી વીજળીના વપરાશમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પરંતુ વીજ ચોરી અને વીજળીના પેન્ડિંગ બિલ ભરવામાં ગ્રાહકો વિલંબ કરી રહ્યા હોવાથી પ્રશાસન દ્વારા આક્રમક પગલા ભરવામાં આવી રહ્યા છે, જે પૈકી કલ્યાણ-ડોંબિવલીમાં 9,000 ઘરના વીજળીના કનેક્શન કાપી નાખ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
વારંવારની નોટિસો આપવા છતાં, જેમણે નિર્ધારિત સમયની અંદર બાકી રકમ સહિત વર્તમાન વીજ બિલની ચૂકવણી કરી નથી, તેવા કલ્યાણ વિભાગના 9,000 વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો મહાવિતરણની વિશેષ ટીમો દ્વારા કાપી નાખવામાં આવ્યો છે. છેલ્લા પંદર દિવસથી આ ઝુંબેશ ચાલી રહી છે. કલ્યાણ સર્કલના 3,20,301 વીજ ગ્રાહકો પાસે રૂ. 191 કરોડ 11 લાખનું વીજ ચુકવણી બાકી છે.
કલ્યાણ, ડોમ્બિવલી ડિવિઝનમાં 50 હજાર ગ્રાહકો પાસે 28 કરોડનું બાકી છે. આ વિભાગમાં 1,191 ગ્રાહકનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. ઉલ્હાસનગર, કલ્યાણ, અંબરનાથ, 27 ગ્રામીણ વિસ્તારના ગામોના ૯૬,૯૪૮ ગ્રાહકનાં 68 કરોડના બિલ બાકી છે. આ વિભાગમાં 3,633 ગ્રાહકનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.
ગ્રાહકોને વીજ બીલ ચૂકવવામાં સરળતા રહે તે માટે મહાવિતરણે રજાના દિવસોમાં પણ વીજ બિલ ચુકવણી કેન્દ્રો ખુલ્લા રાખ્યા છે. જ્યાં સુધી ગ્રાહક નિયમ મુજબ રિકનેક્શન ચાર્જ સહિત બાકીની રકમ અને સેવા કર નહીં ચૂકવે ત્યાં સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. મહાવિતરણના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો ગ્રાહકો વીજળીની ચોરી કરવાનો પ્રયાસ કરશે તો ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.