આ ઉજવણીનો સમય નથી: સલમાને પોતાની ઇવેન્ટ રદ કરીને કહ્યું

મુંબઈઃ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવુડ સેલેબ્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન, સલમાન ખાને પોતાનો એક કાર્યક્રમ રદ કર્યો છે. આ સુપરસ્ટાર ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના લોન્ચ ઇવેન્ટનો ભાગ બનવાનો હતો, પરંતુ હવે વિમાન દુર્ઘટના પછી, તેણે ઇવેન્ટ આયોજકો સાથે મળીને તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ઈવેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ISRL અને સલમાન ખાન રાષ્ટ્ર સાથે ખભેખભા મિલાવીને ઉભા છે. અમે આ કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય સંયુક્ત રીતે લીધો છે કારણ કે આ ઉજવણીનો સમય નથી અને તેથી અમે આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ દુઃખની ઘડીમાં અમે પીડિત પરિવાર સાથે છીએ અને તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. મજબૂત રહો.
આપણ વાંચો: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા
બોલીવુડના કલાકારોએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, ‘એર ઇન્ડિયા અકસ્માતથી હું આઘાતમાં અને હેરાન છું. હું આ સમયે ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું.’
જ્યારે સની દેઓલે લખ્યું, ‘અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું અને હજુ પણ આઘાતમાં છું. મારી સંવેદના બધા મુસાફરો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધા લોકો સાથે છે. આ મુશ્કેલ સમયમાં મારી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ બધા સાથે છે.’
તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું. પરંતુ ઉડાન ભર્યાના પાંચ મિનિટ પછી જ વિમાન તૂટી પડયું. આ વિમાનમાં 12 ક્રૂ મેમ્બર્સ સહીત કુલ 242 લોકો સવાર હતા. આ લખાય છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ કમનસીબે કોઈનાય બચવાની આશા નથી.