પુણેનો જમીન સોદો પ્રકરણ

21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની નોટિસ સામે પાર્થ પવારની કંપનીએ વધુ સમય માગ્યો
પુણે: જમીન સોદાના કેસમાં સ્ટેમ્પ ડ્યૂટી સામે 21 કરોડ રૂપિયા ચૂકવવાના નિર્દેશ આપતી નોટિસના પ્રતિસાદમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે સંકળાયેલી કંપનીએ વધુ 15 દિવસનો સમય માગ્યો હતો.
અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીમાં પાર્થ પવાર મુખ્ય ભાગીદાર છે. આ કંપનીએ નોટિસના છેલ્લા દિવસે સોમવારે ઈન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશનની ઑફિસનો સંપર્ક સાધ્યો હતો પ્રતિસાદ આપવા સમય માગ્યો હતો. કંપનીને અગાઉ સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
વકીલોની એક ટીમ કંપની અને તેના ભાગીદાર દિગ્વિજય પાટીલનું પ્રતિનિધિત્વ કરવા માટે ઑથોરિટી લેટર સાથે આઈજીઆર ઑફિસ પહોંચી હતી. સ્ટેમ્પ ડ્યૂટી તરીકે 21 કરોડ રૂપિયા ચૂકવવા માટે કંપનીને અપાયેલી નોટિસ સામે પ્રતિસાદ આપવા 15 દિવસ વધારી આપવા અરજી કરી હતી, એવું આઈજીઆર ઑફિસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ વકીલોની ટીમ દ્વારા કરાયેલી અરજી સ્વીકારવામાં આવી હતી અને મુદત વધારી આપવાનો નિર્ણય વરિષ્ઠ અધિકારી દ્વારા લેવામાં આવશે.
પુણેના મુંઢવા વિસ્તારમાં 40 એકર જમીન વેચવા માટે 300 કરોડ રૂપિયાનો સોદો કરાયો હતો. જોકે આ જમીન સરકારની છે અને કંપનીને સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ પણ અપાઈ હતી, જેને પગલે સોદો વિવાદમાં આવ્યો હતો. વિવાદને પગલે દિગ્વિજય પાટીલ અને સરકારી અધિકારી સહિત અન્યો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે એફઆઈઆરમાં પાર્થ પવારનું નામ દાખલ કરાયું નથી. (પીટીઆઈ)
આપણ વાંચો: સેલિના જેટલીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યોઃ 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું



