MMR માં પર્યાવરણ મુદ્દે 70,000 ઘરના બાંધકામ સ્થગિત…

મુંબઈ: પર્યાવરણીય સુરક્ષા અને અન્ય કુદરતી સંસાધનોને લગતા કેસ સાથે કામ કરતી ભારતની વૈધાનિક સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી), ભોપાલના નિર્દેશને પગલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 493 પ્રોજેક્ટસના 70 હજારથી વધુ ઘરનું બાંધકામ અટકી પડ્યું છે.
ટ્રિબ્યુનલના આદેશમાં ઇકો-સેન્સિટિવ ઝોનની 5 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સે હવે રાજ્ય-સ્તરના સત્તાવાળાઓને બદલે કેન્દ્ર સરકાર પાસેથી પર્યાવરણીય મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્દેશ આપ્યા પહેલા સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી (એસઇઆઇએએ) પાસે આ પ્રકારની દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા અને તેને મંજૂરી આપવાનો અધિકાર હતો.
નવી જરૂરિયાતોને કારણે ખાસ્સો વિલંબ થયો છે અને એની અસર પ્રોજેક્ટની સમય મર્યાદા પર પડી છે. એટલું જ નહીં, એને કારણે ડેવલપરો અને ઘર ખરીદનારાઓ એમ બંને પર ભારે નાણાકીય સમસ્યા સર્જાઈ છે.