ભારતમાં ગેરકાયદે રહેતા મ્યાનમારના આઠ નાગરિકને બે વર્ષની જેલ

થાણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા મ્યાનમારના આઠ નાગરિકને થાણે સેશન્સ કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સજા પૂરી થયા પછી તેમને વતન પાછા મોકલાવી દેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.
એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે આદેશમાં નોંધ કરી હતી કે આરોપીઓ વિદેશી નાગરિક નથી એ સિદ્ધ કરવાની જવાબદારી તેમની પોતાની છે. યુએનએચસીઆર દ્વારા અપાયેલાં રેફ્યૂજી કાર્ડ્સને ભારતમાં કોઈ માન્યતા નથી, કેમ કે 1951ના યુએન રેફ્યૂજી ક્ધવેન્શનમાં ભારતમાં કોઈ સહી કરી નથી.
આપણ વાંચો: નાશિકમાં ગેરકાયદે વસવાટ કરનારા આઠ બાંગ્લાદેશી પકડાયા
આ કેસમાં આઠ જણને ફોરેનર્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ કસૂરવાર ઠેરવાયા હતા અને તેમને પ્રત્યેકે 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નવમા આરોપી રિયાઝ અહમદ અકબર અલી શેખને પુરાવાના અભાવે છોડી મુકાયો હતો. ભારતીય નાગરિક શેખ પર આઠેય આરોપીને સાથ આપવાનો આરોપ હતો.
ઉત્તન સાગરી પોલીસે મળેલી માહિતીને આધારે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ ચોકગાંવ જેટ્ટી ખાતેથી આઠેય જણને પકડી પાડ્યા હતા. પોલીસને જોઈ તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ: છ મહિલા સહિત 16 બાંગ્લાદેશી પકડાયા
પકડાયેલા આઠેય જણ પાસેથી મોબાઈલ ફોન્સ અને યુનાઈટેડ નૅશન્સ હાઈ કમિશનર ફૉર રેફ્યૂજી (યુએનએચસીઆર) કાર્ડ્સ મળી આવ્યાં હતાં, જેના પરથી પકડાયેલા મ્યાનમારના નાગરિક હોવાની ખાતરી થઈ હતી.
ટ્રાયલ દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એમ. એન. પાવસેએ દલીલ કરી હતી કે યુએનએચસીઆર કાર્ડ્સ વિદેશી નાગરિકને ભારતમાં નિવાસ કરવાના હક આપતાં નથી.
બચાવ પક્ષના વકીલ સંદીપ યેવલેએ દલીલ કરી હતી કે આરોપીઓ રોહિંગ્યા મુસ્લિમ રેફયૂજી છે, જેઓ મ્યાનમારમાંથી આવીને એક દાયકાથી જમ્મુ-કાશ્મીરના રેફ્યૂજી કૅમ્પમાં રહેતા હતા. આરોપીઓ આજીવિકાની શોધમાં ઉત્તન આવ્યા હતા. (પીટીઆઈ)