આમચી મુંબઈ

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ૧૦ વેહિકલ માઉન્ટેડ પંપ ભાડા પર લેશે: પાલિકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૨૬ મે, ૨૦૨૫ના રોડ પડેલા વરસાદ દરમ્યાન પાણીનો નિકાલ કરવામાં પંપ નિષ્ફળ જવાની સાથે જ નવાં પાણી ભરાવવાનાં સ્થળ ઊભરી આવ્યા બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે પંપની સંખ્યા ૪૧૪થી વધારની ૫૧૪ કરી નાખી છે. એ સાથે જ પાલિકાએ જયાં પાણીનો નિકાલ કરવામાં પંપ નિષ્ફળ ગયા હતા તે વિસ્તારમાં ૧૦ વેહિકલ માઉન્ટેડ ડિવોટરિંગ પંપ ભાડે પર બેસાડવાનો નિર્ણય લીધો છે. આ દરેક મોબાઈલ યુનિટમાં બે ઉચ્ચ ક્ષમતાના પંપ બેસાડવામાં આવ્યા છે, જેની પ્રતિ કલાકની ૨૫૦ ઘનમીટર પાણીનો નિકાલ કરવાની ક્ષમતા છે.

ગયા વર્ષે પાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં ૪૮૨ પંપ બેસાડયા હતા. આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ કરવાના નેટવર્કમાં સુધારો થયો હોવાને કારણે પંપની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. જોકે ચોમાસાના વહેલા આગમનને કારણે પાલિકાની તૈયારીમાં મોટા પ્રમાણમાં ખામીઓ હોવાનું જણાઈ આવ્યું હતું. ૨૬ મેના ધોધમાર વરસાદ દરમ્યાન ૮૦ નવા સ્થળોએ પાણી ભરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઘણા વોર્ડે તેમના સંબંધિત વિસ્તારોમાં વધારાના ડિવોટરિંગ પંપ માટે તાત્કાલિક માગણી કરી હતી. સામાજિક કાર્યકરો અને રાજકીય પક્ષો તરફથી પાલિકાની આકરી ટીકા થવાને કારણે પાલિકા પ્રશાસનને આ વર્ષે હવે વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારવાની ફરજ પડી છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ક્લાઈમેટ ચેન્જને કારણે વરસાદની પેટર્નમાં વિક્ષેપ પડયો છે. મુંબઈના અમુક વિસ્તારમાં ટૂંકા ગાળામાં ૨૫૦થી ૩૦૦ મિ.મી. જેટલો વરસાદ પડયો હતો. આ વર્ષે મે મહિનામાં થયેલા રેકોર્ડજનક વરસાદને કારણે ચોમાસાની અસામાન્ય શરૂઆત થઈ હતી. તેથી ચોમાસાના આગામી દિવસો દરમ્યાન વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને શહેરના જટિલ ભૂગોળને ધ્યાનમાં રાખીને ડિવોટરિંગ પંપની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
આ દરમ્યાન હાલ જે પંપ બેસાડવામાં આવ્યા છે તે ભારે વરસાદ દરમ્યાન કામ કરતા બંધ થઈ જાય તો બેકઅપ તરીકે સ્ટોર્મવોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૨૫થી ૨૦૨૮ના સમયગાળા માટે ભાડા પર ૧૦ વેહિકલ માઉન્ટેડ મોબાઈલ પંપ લેવામાં આવ્યા છે.

એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યં હતું કે સાત ઝોનમાંથી દરેક ઝોનમાં દરેકને એક યુનિટ ફાળવવામાં આવશે. જયારે બાકીના ત્રણ યુનિટ ડેપ્યુટી ચીફ એન્જિનિયર્સ (ઓપેરશન્સ એન્ડ મેઈન્ટેનન્સ)ની ઓફિસને સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ઓછા સમયમાં મોબાઈલ ડિવોટરિંગ યુનિટ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. આ વાહનો અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક કાર્યરત રહે તે માટે ત્રણ શિફ્ટમાં સ્ટાફ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે.

આ પણ વાંચો:મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button