મુંબઈમાં ઐતિહાસિક પહેલ: ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં સફળતા…

મુંબઈ: મુંબઈમાં વિવિધ ધર્મના ધર્મસ્થળોમાંથી ૧૫૦૦ લાઉડસ્પીકર દૂર કરવામાં પોલીસને સફળતા મળી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ અને પોલીસ દળના સહયોગે લાઉડસ્પીકર દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મુંબઈ જેવા શહેરમાં ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હોવાનું પ્રથમ વખત જ બન્યું છે. મંદિર, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ જેવા ધર્મસ્થળો પરના લાઉડસ્પીકર્સ હંમેશા વિવાદનું કારણ રહ્યા છે ત્યારે હવે મુંબઈના કોઇ પણ ધર્મસ્થળો પર લાઉડસ્પીકર રહ્યા નથી. પોલીસ કમિશનર દેવેન ભારતીએ આ ઝુંબેશને વિશેષ પીઠબળ પૂરું પાડ્યું હતું.
લાઉડસ્પીકર દૂર કરવા માટે છેલ્લા બે વર્ષથી રાજકીય પક્ષના નેતા, કાર્યકર્તાઓ સાથે અમે બેઠક યોજી રહ્યા છે. સર્વધર્મના ધર્મગુરુઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ઝોનના તમામ ડીસીપી, વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરો આ ઝુંબેશમાં સામેલ થયા હતા, એમ દેવેન ભારતીએ જણાવ્યું હતું.
કોઇ પણ પ્રકારનો વિવાદ અથવા બૂમાબૂમ વગર આ ઝુંબેશ શરૂ હતી. આ બાબતની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રોજ સમીક્ષા કરી રહ્યા હતા. જ્યાં કોઇ અડચણ જણાતી હતી ત્યાં તેઓ પોતે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરતા હતા. આ મુદ્દે કોઇ રાજકીય વિવાદ ઊભો ન થાય તેનું મુખ્ય પ્રધાને ધ્યાન રાખ્યું હતું.