મુંબઈમાં લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર મારાનારો આખરે પકડાયો, જાણો ક્રાઈમ કુંડળી?

મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનના મહિલા ડબ્બા પર પથ્થરમારો કરવાની એક પછી એક બનેલી ઘટનાઓએ લોકલમાં નિયમિત મુસાફરી કરતી મહિલાઓની સલામતી બાબત ચિંતા ઊભી કરી હતી. હવે આ ઘટનામાં વડાલા આરપીએફ અને મુંબઈના વડાલા જીઆરપીએ સંયુક્ત કાર્યવાહીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ નૌશાદ અલી અબ્દુલ વાહિદ શેખ તરીકે થઈ છે. શેખ પર મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલા મુસાફરો પર પથ્થરમારો કરવાનો આરોપ છે. આ ઘટનામાં કેટલીક મહિલાઓ પણ ઘાયલ થઈ હતી, ત્યાર બાદ પોલીસે કેસ નોંધીને મોટી કાર્યવાહી કરી હતી.
આપણ વાંચો: બઈની લોકલ ટ્રેનની ભીડે 31 વર્ષીય જવાનનો ભોગ લીધો…
પોલીસે રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે શેખને શિવડી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને GRPની કસ્ટડીમાં મોકલી દીધો.
પૂછપરછ દરમિયાન શેખે 26 સપ્ટેમ્બરના રોજ રે રોડ સ્ટેશન નજીક પથ્થરમારો કર્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે તે સિગ્નલ પાસે છુપાઈ ગયો હતો અને પનવેલ જતી લોકલ ટ્રેનના મહિલા ડબ્બાને નિશાન બનાવ્યો હતો. આ ઉપરાંત, તેણે 22 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરના રોજ શિવરી અને વડાલા વચ્ચેના મહિલા ડબ્બાઓ પર હુમલો કર્યાની પણ કબૂલાત કરી હતી.
આપણ વાંચો: 3, 4 અને 10 ઓક્ટોબરના નેરળ-કર્જત અને ખપોલી-કર્જત વચ્ચે લોકલ ટ્રેનો નહીં દોડે, જાણો વિગત
પોલીસve રેકોર્ડ મુજબ આરોપી શેખ પર અગાઉ પથ્થરમારો અને ટિકિટ વેન્ડિંગ મશીનો (ATVM)માં તોડફોડ કરવાનો કેસ નોંધાયેલા છે. ઉપરાંત, વિવિધ ગુનાઓ માટે તેણે જેલની સજા પણ ભોગવી છે.
વડાલા જીઆરપીએ જણાવ્યું હતું કે આરોપી સામે ત્વરિત કાર્યવાહીથી ઘણા વધુ સંભવિત હુમલાઓ અટકી ગયા છે. પોલીસે જાહેર જનતાને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ રેલવે પોલીસને કરવા અપીલ કરી છે.