મુંબઈની મસ્જિદો બની ‘ડિજિટલ સ્માર્ટ’: અઝાન માટે અપનાવી નવી ‘એપ’ ટેકનોલોજી…

મુંબઈઃ વધતા અવાજના પ્રદૂષણ પર લગામ લગાવવા માટે કોર્ટ દ્વારા નિર્દેશિત અનેક પગલાંઓમાં એક મસ્જિદો પર અજાન પોકારવા માટે લગાવાયેલા લાઉડ સ્પીકરો પર કાર્યવાહી કરવી પણ છે. પણ હંમેશની જેમ ધાર્મિક સ્થળો પર કરાતી કાર્યવાહીમાં રાજકીય-સામાજિક વાંધા વિરોધને કારણે અમલ અટકી પડે છે. આ વખતે પણ પોલીસ દ્વારા શરુ થયેલી લાઉડ સ્પીકર વિરુદ્ધની કાર્યવાહીમાં મસ્જિદો દ્વારા વિરોધ નોંધાવાયો છે અને એક પ્રતિનિધિ મંડળ ઉપ-મુખ્યપ્રધાન અજિત પવારને મળ્યું હતું.
પણ હવે સમસ્યાના સમાધાન માટે મસ્જિદોએ હાઈટેક ઉપાય શોધી કાઢ્યો છે. લાઉડસ્પીકરના ઉપયોગ પરના નિયંત્રણોની પૃષ્ઠભૂમિમાં મુંબઈની અડધો ડઝન મસ્જિદોએ મોબાઇલ ફોન એપ્લિકેશન પર નોંધણી કરાવી છે, જે ‘અઝાન’ અથવા પ્રાર્થના માટે આહ્વાન કરે છે.
માહિમ જુમ્મા મસ્જિદના મેનેજિંગ ટ્રસ્ટી ફહદ ખલીલ પઠાણે જણાવ્યું હતું કે અજાન માટે લાઉડસ્પીકરના ઉપયોગને લગતા નિયંત્રણો અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સમર્પિત મોબાઇલ એપ્લિકેશન સ્થાનિક મસ્જિદોના ઉપાસકોને સીધી અઝાન રિલે કરવામાં મદદ કરે છે.
પઠાણે જણાવ્યું હતું કે આ એપ્લિકેશન મફત છે અને વપરાશકર્તાઓને ઘરે અઝાન સાંભળવા મળશે, ખાસ કરીને રમઝાન (ઉપવાસનો ઇસ્લામિક પવિત્ર મહિનો) અને અન્ય સમયે જ્યારે લાઉડસ્પીકર પર જાહેરાતો પ્રતિબંધિત હોય છે, તેમણે સમજાવ્યું.
“આ પહેલ લાઉડસ્પીકરના ઉપયોગ પર પોલીસના કડક પગલાં પછી આવી છે, જ્યાં અધિકારીઓએ મસ્જિદ (જુમા મસ્જિદ)ની મુલાકાત લીધી હતી અને ચેતવણી આપી હતી કે લાઉડસ્પીકરનો ઉપયોગ કાર્યવાહીમાં પરિણમી શકે છે. આના કારણે મસ્જિદે તેની સાઉન્ડ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી,” એમ પઠાણે જણાવ્યું.
ઓનલાઇન અઝાન નામની આ એપ્લિકેશન તમિલનાડુના તિરુનેલવેલીના આઇટી વ્યાવસાયિકોની ટીમના ટેકનિકલ સપોર્ટથી વિકસાવવામાં આવી હતી, અને હવે તે એન્ડ્રોઇડ ડિવાઇસ અને આઇફોન પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન મોબાઇલ ફોન દ્વારા મસ્જિદ દ્વારા જારી કરાય તે સમયે જ અઝાનનો લાઇવ ઑડિઓ સ્ટ્રીમ કરવામાં આવે છે.
પઠાણે કહ્યું કે મસ્જિદોમાં સ્થાપિત નવા ૧૦x૧૫ બોક્સ સ્પીકર્સ પરંપરાગત લાઉડસ્પીકર જેટલા વ્યાપકપણે અઝાનનો અવાજ ફેલાવતા નથી, તેથી ઘણા સુધી અવાજ પહોંચતો ન હોવાથી આ એક જરૂરિયાત હતી. “અમે સંઘર્ષ કરતાં નવીનતા પસંદ કરી.
હવે, શ્રદ્ધાળુઓ લાઉડસ્પીકર વિના પણ અઝાનના સમય સાથે જોડાયેલા રહી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં, અમારી મસ્જિદની નજીક રહેતા ૫૦૦ રહેવાસીએ એપ પર નોંધણી કરાવી છે. મુંબઈમાં કુલ છ મસ્જિદોએ એપના સર્વર (ભારતમાં સ્થિત) સાથે નોંધણી કરાવી છે,” તેમણે માહિતી આપી.
તેમણે ઉમેર્યું હતું કે, “એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે લાઉડસ્પીકરો દૂર કરવાનો આદેશ આપ્યો નથી, પરંતુ માન્ય ધ્વનિ મર્યાદા નક્કી કરી છે – દિવસ દરમિયાન ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ.”
(પીટીઆઈ)
આપણ વાંચો : મુંબઈમાં ઐતિહાસિક પહેલ: ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં સફળતા…