આમચી મુંબઈ

મુંબઈના બીચ પર પર્યટકો માટે મોબાઈલ ટોઈલેટની સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પર બેસાડવામાં આવેલા પ્રી-ફેબ્રિકેટેડ પબ્લિક બાયો-ટોઈલેટ સામે વિરોધ થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે મોબાઈલ ટોઈલેટ બેસાડવાનો નિર્ણય લીધો છે. આ મોબાઈલ ટોઈલેટ પુરુષો, મહિલાઓની સાથે જ ખાસ વિકલાંગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવવાના છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત આશરે ૩.૪૨ કરોડ રૂપિયા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે મોબાઈલ ટોઈલેટ (શૌચાલય) બેસાડવા, તેને ચલાવવા અને તેેની જાળવણી માટે ટેન્ડર આમંત્રિત કર્યાં હતાં. મુંબઈની પ્રખ્યાત ચોપાટીઓ ગિરગાંવ, દાદર-માહિમ, જુહુ, વર્સોવા, મઢ-માર્વે, મનોરી-ગોરાઈ, દાનાપાણી સહિત અન્ય બીચ પર લગભગ ૨૪ મોબાઈલ ટોઈલેટ બેસાડવામાં આવવાના છે. બીચ બેસાડવામાં આવનારા મોબાઈલ ટોઈલેટના દરેક યુનિટમાં સાત ટોઈલેટ સીટ હશે. આ શૌચાલયમાં ૨૪ કલાક સોલાર પેનલ, વીજળી, પાણીના ટેન્કર અને મેન્ટેનન્સ સ્ટાફની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગયા વર્ષે અમુક બીચ પર પ્રાયોગિક ધોરણે પ્રિફેબ્રિકેટેડ બાયો-ટોઈલેટ બેસાડવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક નાગરિક અને રાજકારણીઓ દ્વારા અમુક કારણસર તેની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. તેથી અધવચ્ચે જ કૉન્ટ્રેક્ટર સાથેનો કૉન્ટ્રેક્ટ સમાપ્ત કરવામાં આવ્યો હતો. તેથી હવે ફેબ્રિકેટેડ મોબાઈલ ટોઈલેટ બેસાડવામાં આવશે, તેની સામે જો કોઈ વિરોધ કરે તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ લોકોને ધ્યાનમાં રાખીને નીચા પ્લેટફોર્મવાળું મોબાઈલ ટોઈલેટ પણ બેસાડવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક સ્થળોએ જાહેર શૌચાલયની સંખ્યા વધારવાનું આયોજન કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button