ત્રણ વર્ષની ભાણેજને મારી નાખ્યા પછી માનસિક અસ્થિર માસીની આત્મહત્યા

થાણે: થાણે જિલ્લાના અંબરનાથ ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં માનસિક અસ્થિર માસીએ ત્રણ વર્ષની માસૂમ ભાણેજની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું.
શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધરાત બાદ બની હતી. અંબરનાથમાં રહેતી 26 વર્ષની મહિલા બહેનના આઠ વર્ષના પુત્રના નિધન પછી ડિપ્રેશનમાં સરી પડી હતી. માંદગીને કારણે અમુક દિવસ અગાઉ જ ભાણેજનું મૃત્યુ થયું હતું. ભાણેજના મૃત્યુનો આઘાત સહન ન થતાં મહિલા માનસિક રીતે અસ્થિર થઈ ગઈ હતી.
આપણ વાંચો: ભાંડુપમાં પતિની ગળું દબાવીને હત્યા: ગુમ પત્ની સામે શંકા
પ્રથમદર્શી પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાએ શુક્રવારની મધરાતે બહેનની ત્રણ વર્ષની દીકરીની ગળું દબાવીને હત્યા કરી હતી. અપરાધભાવને કારણે બાદમાં મહિલાએ પણ બહેનના ઘરે જ સીલિંગ સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાધો હતો.
શનિવારે સવારે બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)