આમચી મુંબઈ

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું મુંબઈ સેશન્સ કોર્ટમાં વિરોધ પ્રદર્શન, ભારતીય નાગરિકતા છોડવાની જાહેરાત

માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને આજે 15 વર્ષ પુરા થયા છે. આ વિસ્ફોટોના આરોપીઓમાં સમીર કુલકર્ણીનો સમવેશ થાય છે. આટલા વર્ષો વીતવા છતાં ચુકાદો ન આવતા સમીર કુલકર્ણીએ આજે શુક્રવારે મુંબઈની સેશન્સ કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું. સમીર કુલકર્ણીએ “Not Worthy Indian” બોર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે હું આ સિસ્ટમમાં ન્યાય મેળવી શકતો નથી. ઉપરાંત, તેણે તેની ભારતીય નાગરિકતા છોડવાની પણ જાહેરાત કરી છે.

સમીર કુલકર્ણી 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે અને પુણેમાં રહે છે. સમીર કુલકર્ણી દરેક તારીખે સુનાવણી માટે પુણેથી મુંબઈ આવે છે. સમીર કુલકર્ણીની ફરિયાદ છે કે આજે 29મી સપ્ટેમ્બરે બ્લાસ્ટને 15 વર્ષ વીતી ગયા, પરંતુ આ કેસનો અંત આવ્યો નથી. આ કારણે કુલકર્ણીએ શુક્રવારે મુંબઈમાં સેશન્સ કોર્ટની બહાર ‘ના-લાયક ભારતીય’નું બોર્ડ લઈને પ્રદર્શન કર્યું હતું.

આ દરમિયાન કુલકર્ણીએ કહ્યું, હું સંપૂર્ણપણે નિર્દોષ છું, તેમ છતાં મારી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી અને મને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. મને ખૂબ જ અમાનવીય રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 15 વર્ષથી, મારા મૂળભૂત અધિકારો – ગૌરવ જળવાયા નથી. હું આ વ્યવસ્થામાં ન્યાય મેળવી શકતો નથી. તેથી જ આજે હું ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરવા માંગુ છું.

15 વર્ષ જૂના 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 25 સપ્ટેમ્બરથી CrPC 313 હેઠળ આરોપીઓના નિવેદન નોંધવાના હતા, પરંતુ સાતમાંથી એક આરોપી હાજર ન થવાને કારણે હવે સુનાવણી 3 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button