મહાયુતિમાં વિખવાદ: એકનાથ શિંદે સમક્ષ પ્રધાનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો
મહાયુતિ સરકારમાં શિવસેના અને એનસીપી વચ્ચેના મતભેદો સામે આવ્યા: ભંડોળ વિતરણ અંગે અજિત પવાર વિરુદ્ધ નારાજી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જંગી બહુમતી સાથે સત્તામાં આવેલી મહાયુતિમાં દિવસેને દિવસે વધુને વધુ ઝઘડા થઈ રહ્યા છે. શિવસેના અને એનસીપી સતત એકબીજા સામે લડી રહ્યા છે. રાયગઢનું પાલક પ્રધાનપદ હોય કે પછી ભંડોળની ફાળવણી.
શિંદે સેનાના તમામ પ્રધાનોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે ફરિયાદો કરી છે. આ કારણે, શિવસેના અને એનસીપી વચ્ચેનો મતભેદ વધુ વધવાની શક્યતા છે. પરિણામે મહાયુતિ સરકારમાં વિસંવાદિતા વધે તો આગામી દિવસોમાં સરકાર સામે સંકટ સર્જાઈ શકે છે.
આપણ વાંચો: મહાયુતિ સરકારમાં અશાંતિ વધી, રાજ્ય પ્રધાને સીધી મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી; કારણ શું છે?
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે તેમના પક્ષના તમામ પ્રધાનોની એક બેઠક યોજી હતી. આમાં સેનાના તમામ પ્રધાનોએ નાણાં પ્રધાન અજિત પવાર સામે ફરિયાદોની યાદી વાંચી સંભળાવી હતી.
પ્રધાનોએ શિંદેને એવી ફરિયાદ કરી છે કે અજિત પવાર ભંડોળ આપતા નથી અને વિકાસ કાર્યોમાં અવરોધ ઉભો કરે છે. શિવસેનાના તમામ પ્રધાનોએ અજિત પવારની કાર્યશૈલી અંગે સ્પષ્ટ શબ્દોમાં નારાજી વ્યક્ત કરી છે.
શિંદેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે પાર્ટીના પ્રધાનોની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. ત્રણ પક્ષોની સરકાર હોવાથી દરેકને સમાન તકો મળે તે જરૂરી છે.
વિકાસ ભંડોળ સમાન રીતે વહેંચવું જોઈએ, પરંતુ નાણા પ્રધાન અજિત પવાર પાર્ટીને મળેલા વિભાગોને પૂરતું ભંડોળ આપતા નથી. તો પછી વિકાસ કાર્ય કેવી રીતે થઈ શકે, એવો સવાલ પાર્ટીના પ્રધાનોએ એકનાથ શિંદેને કર્યો હતો.
શિવસેનાના પ્રધાનોએ એકનાથ શિંદે સમક્ષ અજિત પવાર સામેની ફરિયાદો વાંચી સંભળાવી હતી. આ બાબતે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે આ અંગે વાત કરીશ એમ જણાવતાં શિંદેએ પ્રધાનોને વચન આપ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં ઉકેલ શોધવામાં આવશે. આ બધાને કારણે હવે રાજકીય વર્તુળનું ધ્યાન હવે શિંદે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધશે તેના પર છે.
આપણ વાંચો: સરકારનો સમયસર પાલિકાની ચૂંટણી યોજવાનો પ્રયાસ, મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડશે: ફડણવીસ
જ્યારે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા, ત્યારે શિવસેનામાં ભાગલા પડ્યા હતા અને એમવીએની સરકાર પડી ભાંગી હતી. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 વિધાનસભ્યોએ સત્તા છોડી ત્યારે પણ તેમણે એવી જ ફરિયાદ કરી હતી કે નાણા પ્રધાન અજિત પવાર ભંડોળ આપતા નથી.
શિંદે અને તેમના સમર્થક વિધાનસભ્યોએ ભાજપની મદદથી સત્તા બનાવી હતી, પરંતુ માત્ર એક વર્ષમાં અજિત પવારે પણ બળવો કર્યો અને સત્તામાં સહભાગી થયા હતા તેમ જ નાણા પ્રધાન બન્યા હતા. હવે ફરી એકવાર શિવસેનાના પ્રધાનોએ અજિત પવાર વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે. આ વખતે સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.