મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી એકનું મોત, 48 લોકોને બચાવાયા; બચાવ કામગીરી ચાલુ છે: ફડણવીસ

મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ સોમવારે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 48 લોકોને ડૂબી ગયેલા વિસ્તારોમાંથી બચાવાયા હતા, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે જણાવ્યું હતું.
‘પુણે, સતારા, સોલાપુર, રાયગઢ, મુંબઈ અને એમએમઆરમાં ભારે વરસાદ પડ્યો છે. દૌંડમાં 24 કલાકમાં 117 મીમી, બારામતીમાં 104.75 મીમી, જ્યારે ઇન્દાપુરમાં 63.25 મીમી વરસાદ નોંધાયો છે,’ એમ નિવેદનમાં જણાવાયું છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 135.4 મીમી વરસાદ નોંધાયો છે. શહેરમાં છ સ્થળોએ પાણી ભરાઈ જવાની, શોર્ટ સર્કિટના 18 બનાવો અને દિવાલ ધરાશાયી થવાની પાંચ ફરિયાદો મળી છે. શહેરમાં અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી, એમ મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ, ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને અન્ય કટોકટી સેવાઓ સ્ટેન્ડબાય પર છે, જ્યારે કોઈપણ તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે શહેરમાં પાંચ એનડીઆરએફની ટીમો તૈનાત રાખવામાં આવી છે, એમ પણ તેમાં જણાવાયું છે.
નિવેદનમાં જણાવાયું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે અને મુખ્ય પ્રધાન ફડણવીસ મુખ્ય સચિવ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એકમ સાથે સતત સંપર્કમાં છે.
આ પણ વાંચો…મુંબઈમાં સતત વરસાદથી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ, જનજીવનને વ્યાપક અસર