મહારાષ્ટ્રના પાલઘરમાં બની ચોંકાવનારી ઘટના, ટ્રેનમાંથી ફેકેલું નારિયેળ વાગતાં યુવકનું મોત

પાલઘર, મહારાષ્ટ્રઃ મોતનું કંઈ નક્કી નથી હોતું, રસ્તામાં ચાલી રહ્યાં હો તો પણ ગમે તે દિશામાંથી મોત આવી શકે છે. મહારાષ્ટ્રમાં પણ એક વ્યક્તિનું આવી જ રીતે મોત થયું છે. પાલઘર જિલ્લામાં ભાયંકર ક્રીક પુલ પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી. આ ટ્રેનમાંથી કોઈ વ્યક્તિએ નારિયેળ બહાર ફેક્યું અને તે સીધું નીચે ચાલી રહેલા વ્યક્તિને વાગ્યું હતું. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ઘા એટલો ગંભીર હતો કે તે બચી શક્યો નહીં.
પુલ પર ચાલી રહેલા 31 વર્ષીય વ્યક્તિનું મોત
આ મામલે અધિકારીઓએ કહ્યું કે, શનિવારે સવારે ભાયંદર ક્રીક બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી નારિયેળ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે રસ્તમાં ચાલી રહેલા 31 વર્ષીય વ્યક્તિનું મોત થઈ ગયું હતું. મૃતકની ઓળખ સંજય દત્તારામ તરીકે થઈ છે. સંજય દત્તારામ કામે જવા માટે રેલવે પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. હવામાન ખરાબ હોવાના કારણે હોડી સેવા બંધ હતી એટલે કે રેલવે પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ચાલુ ટ્રેનમાંથી ફેંકવામાં આવેલું નારિયેળ તેને કાન અને આંખની વચ્ચે વાગ્યું હતું.
ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાલત વધુ ખરાબ થઈ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સંજય દત્તારામને તાત્કાલિક વસઈની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને વધુ સારવાર માટે તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. સંજય દત્તારામનું અકાળે મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. રેલવે વિભાગ દ્વારા હજી આ મામલે કોઈ સંવેદના વ્યક્ત કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.