૧૦૦ યુનિટથી ઓછી વીજ વપરાશવાળા ગ્રાહકોની વીજદર ઘટાડાનો વધુ લાભ મળશે…

મુંબઈ: મહારાષ્ટ્રના વીજ ગ્રાહકોને રાહત આપતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી પાંચ વર્ષમાં વીજળીના દરમાં ૨૬ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ૭૦ ટકા એવા વીજ ગ્રાહકો છે જેઓ દર મહિને ૧૦૦ યુનિટથી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને વીજદરમાં સૌથી વધુ ૧૦ ટકાનો લાભ થશે, એવી જાહેરાત પણ મુખ્ય પ્રધાને કરી હતી.
રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વીજદરમાં ઘટાડો કરતા ફડણવીસે કહ્યું હતું કે શરૂઆતી તબક્કે ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.
‘મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત વીજળીના દરમાં પ્રથમ વર્ષે ૧૦ ટકાનો ઘટાડો કરાશે અને ત્યાર બાદ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર ૨૬ ટકાનો ઘટાડો કરાશે. મહાવિતરણની અરજી પર મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઇઆરસી)એ તેને મંજૂરી આપી હતી’, એમ ઊર્જા ખાતું સંભાળતા ફડણવીસે એક્સ પર જણાવ્યું હતું.
વીજળીના દરમાં ૧૦ ટકાનો વધારો કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો વચ્ચે ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં મહાવિતરણ દ્વારા વીજળીના દરમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. એમઇઆરસી દ્વારા પ્રસ્તાવ મંજૂર કરાયો હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.
આ વીજદર ઘટાડો ઘરેલુ, ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ એમ ત્રણેય વર્ગના ગ્રાહકોને લાગુ પડશે. રાજ્યમાં ૭૦ ટકા ગ્રાહકો એવા છે જેઓ દર મહિને ૧૦૦ યુનિટથી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને સૌથી વધુ ૧૦ ટકા છૂટ આપવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
ખેડૂતોને વાજબી અને ચોવીસ કલાક વીજળી મળી શકે તે માટે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના-૨.૦ પર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં ઊર્જા ખરીદીના કરારમાં એક ફેરફાર સાથે વીજળીના દરમાં ઘટાડો થશે, એમ તેમણે નોંધ્યું હતું.
આપણ વાંચો : નાણાં વિભાગનો કોઈ વિરોધ નથી: ફડણવીસ…