વીજદરમાં ઘટાડોઃ ગ્રાહકોની અવગણનાનો આક્ષેપ…
દરેક પ્રકારના ગ્રાહકોને રાહત મળે એ અંગે વિચાર જ કરાયો નહીં

પુણે: દરેક પ્રકારના ગ્રાહકો માટે વીજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય વીજ નિયામક પંચ દ્વારા ૨૮મી માર્ચે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને ફગાવીને મહાવિતરણ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને બુધવારે પંચ દ્વારા સ્વીકાર્યો હોવાનો આક્ષેપ સજગ નાગરિક મંચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવા પહેલા ગ્રાહકોનું કહેવું પણ સાંભળવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
મહાવિતરણના નવેમ્બર ૨૦૨૪ના બહુવાર્ષિક વીજદર નક્કી કરવાના પ્રસ્તાવ પર રાજ્યના વીજ ગ્રાહકોને મંતવ્ય રજૂ કરવાની તક પંચ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ ચાર મહિના બાદ ૨૮મી માર્ચે દર ઘટાડાના ૮૨૭ પાનાનો આદેશ રજૂ કર્યો હતો. ૨૦૨૫-૨૬માં ૧૦ ટકા અને ૨૦૨૯-૩૦ સુધી ૧૬ ટકા વીજદર ઘટાડો આદેશ આપવામાં આવ્યો હોવાનું મંચના સૂત્રોએ જણાવ્યું હતું.
દરેક પ્રકારના ગ્રાહકો માટે પાંચથી ૧૫ ટકા વીજદર ઘટાડાનો નિર્ણય ઐતિહાસિક હતો. તેમાં દરેક પ્રકારના ગ્રાહકોને રાહત મળવાની હતી. હવેના નિર્ણયમાં ૧૦૦ યુનિટથી ઓછી વીજળી વાપરનારાઓને વધુ રાહત મળવાની છે.એપ્રિલમાં પોતાના નિર્ણયમાં કરાયેલા સુધારાની માહિતી મહાવિતરણ અને પંચે પોતાની વેબસાઇટમાં આપી નહોતી એમ પણ મંચના સૂત્રોએ જણાવ્યું હતું. ફક્ત મહાવિતરણના પ્રસ્તાવને આધારે નિર્ણય લેવાયો છે, ગ્રાહકોનું કંઇ સાંભળવામાં આવ્યું નથી, એમ તેમનું કહેવું છે.