આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

કેજરીવાલની ધરપકડ થઈ એ લિકર કૌભાંડનું ભાજપ કનેક્શન!

આ કેસના સહ આરોપીએ ભાજપને આપ્યું કરોડોનું ડોનેશન: ડિરેક્ટરની ધરપકડના પાંચ દિવસમાં અરવિંદો ફાર્માએ ભાજપને ડોનેશન આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જે લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથેનું ભાજપનું કનેક્શન હવે સામે આવ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં આ કનેક્શનનો પર્દાફાશ થયો છે.

ભાજપને ડોનેશન આપનારી હૈદરાબાદની અરવિંદો ફાર્મા કંપનીની નવી વાત સામે આવી છે. અરવિંદો ફાર્માના ડિરેક્ટર પી. શરથ ચંદ્ર રેડ્ડીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી લિકર કાંડમાં ધરપકડ કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ આ ફાર્મા કંપનીએ ભાજપને ડોનેશન આપ્યું હતું. આટલું જ નહીં, બીઆરએસના વિધાન પરિષદના સભ્ય કલવાકુંટલા કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસના નાણાંની હેરાફેરી (મની લોન્ડરિંગ)નો આરોપ મુકવામાં આવ્યો હતો.

આપણ વાંચો: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનો સપાટો, BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

હૈદરાબાદ-સ્થિત બિઝનેસમેન પી. શરથ ચંદ્ર રેડ્ડી અરવિંદો ફાર્માના એક ડિરેક્ટર છે. તેમની 10 નવેમ્બર-2022ના રોજ દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ દ્વારા કવિતા અને શરથ પર દક્ષિણ ભારતની કાર્ટલનો હિસ્સો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની ધરપકડના બરાબર પાંચ દિવસ બાદ એટલે કે 15 નવેમ્બરે અરવિંદો ફાર્માએ પાંચ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા અને આ બધા જ બોન્ડ ભાજપને આપી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ બોન્ડની 21 નવેમ્બર-2022ના રોજ રોકડી પણ કરી લેવામાં આવી હતી.

અરવિંદોએ કુલ રૂ. બાવન (52) કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા, તેમાંથી 34.5 કરોડના બોન્ડ ભાજપને ડોનેશન તરીકે આપવામાં આવ્યા હતા. રૂ. 15 કરોડનું ડોનેશન ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને અઢી (2.5) કરોડનું ડોનેશન તેલુગુ દેશમ પાર્ટીને આપવામાં આવ્યું હતું.

આપણ વાંચો: દિલ્હી લિકર પોલિસી કેસ: વિશેષ જજ એમકે નાગપાલની બદલી, હવે કાવેરી બાવેજા કરશે સુનાવણી

ઈડી દ્વારા પોતાના કેસમાં શરથ પર દિલ્હીની લિકર લાઈસન્સિંગ પ્રોસેસમાં મળેલી લાંચની રકમ મની લોન્ડરિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શરથ અને કવિતા તેલુગુભાષી રાજ્યોના એ લોકો છે જેઓને આપના સ્થાનિક નેતા વિજય નાયર દ્વારા રૂ. 100 કરોડ લાંચ પેટે આપવામાં આવ્યા હતા. આ રકમ દિલ્હીના લિકર વ્યવસાય પર કબજો મેળવવાના હેતુથી આપવામાં આવી હતી. 2022માં ગોવાની વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શરથને ત્યારબાદ લિકર કેસમાં તપાસપક્ષના સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme