ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે મારે છે હવાતિયાઃ કેન્દ્રીય પ્રધાને નિશાન તાક્યું
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને તે મુખ્ય પ્રધાન બનવા માટે પ્રયત્ન કરતા હોવા બાબતે તેમની ટીકા કરી હતી. જાધવે ઉદ્ધવ તુચ્છ લોકો સામે ઝુકતા હોવાનું કહી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો હતો.
થોડા જ મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનનું પદ મેળવવા માટે હવાતિયાં મારતા હોવાનું જાધવે કહ્યું હતું. જાધવે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની વિચારધારાને ત્યજી દીધી છે અને તેમનો ડોળો મુખ્ય પ્રધાનની ખુરશી પર છે, જેની માટે તે તુચ્છ લોકો સામે નમી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા અને ત્યાં કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને મળ્યા હતા. તેમણે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિાકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. એ વખતે ભાજપના નેતાઓએ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદનો ચહેરો બનવા માગતા હોવાના કારણે દિલ્હી આવ્યા હોવાનો દાવો કર્યો હતો.
હવે એકનાથ શિંદેની શિવસેનાના નેતા તેમ જ કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે પણ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવી ટીકા કરી હતી.
આ પણ વાંચો : Election 2024 : ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત તેજ કરી
તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે જ્યારે શિવસેનાના સુપ્રીમો હતા ત્યારે લોકો તેમને મળવા માટે તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે આવતા હતા, પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા માટે તુચ્છ માણસોના પગે પડી રહ્યા છે.
આ ઉપરાંત પ્રતાપરાવ જાધવે ઉદ્ધવમાં બાળાસાહેબ ઠાકરેની કોઇપણ લાક્ષણિકતા ન હોવાની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરે જેવી એકપણ વાત નથી. તે બાળાસાહેબ ઠાકરે જે હતા તેનો એક ટકા ભાગ પણ નથી.