IndiGoની ફ્લાઇટ્સ આજે પણ રદ: દિલ્હી, મુંબઈ, અમદાવાદ એરપોર્ટ્સ પર મુસાફરોને હાલાકી…

મુંબઈ: ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગો હાલ ગંભીર ઓપરેશનલ સમસ્યામાંથી પસાર થઇ રહી છે, ગઈ કાલે બુધવારે દેશભરમાં ઇન્ડિગોની લગભગ 200 જેટલી ફ્લાઈટ્સ રદ થઇ હતી. આજે ગુરુવારે પણ ક્રૂની અછતને કારણે ઇન્ડિગોને સંખ્યાબંધ ફ્લાઈટ્સ રદ થઇ છે, જેને કારણે દેશના મુખ્ય એરપોર્ટસ પર અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે.
ગુરુવારે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ અને અન્ય શહેરોના એરપોર્ટસ પર મુસફરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અટવાયેલા મુસાફરો એરલાઈન્સ સામે રોષ ઠાલવી રહ્યા છે. આજે ગુરુવારે વહેલી સવારે દિલ્હીથી ટેકઓફ કરનારી 30 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હૈદરાબાદથી 33 ફ્લાઇટ્સ, બેંગલુરુ એરપોર્ટ પરથી 73 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ કલાકો ડીલે ચાલી રહી છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અહેવાલ મુજબ આજે પણ 200થીવધુ ઇન્ડિગો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી શકે છે.
મુસાફરોને હાલાકી:
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એરપોર્ટ પરના મુસફરોનાં જમાવડાના દ્રશ્યો શેર કર્યા છે.
એક યુઝરે X પર પોસ્ટ કરીને લખ્યું, “અમે ગઈકાલે સાંજે 6:00 વાગ્યાથી હૈદરાબાદ એરપોર્ટ પર છીએ,આજે સવારે 9:00 વાગ્યા છે, ફ્લાઈટ 12 કલાકથી વધુ ડીલે છે, પરંતુ ઇન્ડિગોએ પુણેની ફ્લાઇટ અંગે કોઈ કાર્યવાહી કરી નથી, જેને કારણે અમે હેરાન થઇ ગયા છીએ.”
વધુ એક યુઝરે X પર લખ્યું, “@IndiGoAir સાથેનો અનુભવ અત્યંત નિરાશાજનક રહ્યો! મારી ફ્લાઇટ 22 કલાક ડીલે છે, કોઈ સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો નથી. ભારતની સૌથી મોટી એરલાઇન પાસેથી મેં આવી અપેક્ષા રાખી ન હતી.”
આ પણ વાંચો…ઇન્ડિગો એરલાઈન્સમાં ગંભીર ઓપરેશનલ કટોકટી, એક મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી…



