આવકવેરા રિટર્ન ફાઇલ કરવું સરળ બન્યું, હવે ITR-1 અને ITR-4 ફોર્મ એક્સેલમાં ઉપલબ્ધ

મુંબઈ: દેશમાં નાણાકીય વર્ષ 2024-25 અને આકારણી વર્ષ 2025-26 માટે આઇટીઆર(ITR)ફાઇલિંગ 30 મેથી શરૂ થયું છે. ત્યારે આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1અને ITR-4 ફોર્મ એકસેલમાં પૂરું પાડવામાં આવ્યું છે.
જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન સરળતાથી ફાઇલ કરી શકે. આવકવેરા વિભાગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી શેર કરી હતી.આ સુવિધાઓની ઉપલબ્ધતા સાથે કરદાતાઓ વર્ષ 2024-25 ની આવક માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે.
આપણ વાંચો: ગજબ ! ગુજરાતના સાબરકાંઠામાં 12 હજારના પગારદારને આવકવેરા વિભાગની 36 કરોડની નોટિસ…
આ કરદાતાઓએ ITR-1 અને ITR-4 ભરવા પડશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ ગયા મહિનાના અંતમાં ITR-1 અને ITR-4 માં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવીને 15 સપ્ટેમ્બર કરી હતી.
ITR-1 અને ITR-4 ફોર્મ એવા વ્યક્તિઓ, HUF અને સંસ્થાઓ દ્વારા ભરવામાં આવે છે જેમની વાર્ષિક આવક રૂપિયા 50 લાખ સુધીની હોય અને જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર ન હોય.
જે વ્યક્તિઓ લિસ્ટેડ શેરમાંથી રૂ. 1.25 લાખ સુધીનો લાંબા ગાળાનો મૂડી લાભ મેળવે છે તેઓ આ આવક ITR-1 અને ITR-4 માં બતાવી શકે છે. અગાઉ તેઓએ ITR-2 ફોર્મ પણ ભરવાનું હતું.
આપણ વાંચો: ‘તમારે ત્યાં આવકવેરાના દરોડા નહીં પડે…’, વડાપ્રધાન મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીને આવું કેમ કહ્યું?
IT વિભાગે ITR-U ફોર્મ જાહેર કર્યું
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે તાજેતરમાં ITR-U ફોર્મ જાહેર કર્યું છે. જે કરદાતાઓને આકારણી વર્ષના અંતથી ચાર વર્ષ માટે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપે છે.
ફાઇનાન્સ એક્ટ- 2025 એ સંબંધિત આકારણી વર્ષના અંતથી અપડેટેડ રિટર્ન (ITR-U)ફોર્મ ફાઇલ કરવાની અંતિમ તારીખ 24 મહિનાથી વધારીને 48 મહિના કરી હતી. આ ફેરફાર એ જ જોગવાઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
ITR-U ફોર્મ માટે વધારાનો ટેક્સ ચૂકવવો પડશે
આવકવેરા વિભાગના નોટિફિકેશન અનુસાર, સંબંધિત આકારણી વર્ષના અંતથી 12 મહિના અને 24 મહિનાની અંદર ફાઇલ કરાયેલ ITR-U ફોર્મ માટે અનુક્રમે 25 ટકા અને 50 ટકા વધારાનો ટેક્સ ચૂકવવાનો રહેશે.
જ્યારે 36 મહિના અને 48 મહિનાની અંદર ફાઇલ કરાયેલ ITR-U માટે કરદાતાએ અનુક્રમે 60 ટકા અને 70 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા લગભગ 90 લાખ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. આ રીતે કરદાતાઓ પાસેથી 8500 કરોડ રૂપિયાની વધારાની આવક એકઠી થઈ છે.