ચોથી પત્નીની હત્યાના કેસમાં પતિને કોર્ટે નિર્દોષ છોડ્યો

થાણે: પત્નીની હત્યાના આરોપનો સામનો કરી રહેલા 32 વર્ષના પતિને થાણેની સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. આરોપીને છોડતી વખતે અદાલતે એવી નોંધ કરી હતી કે સાંયોગિક પુરાવાઓના આધારે દોષ પુરવાર કરવા માટે જરૂરી મૂળભૂત હકીકતો સાબિત કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ ગયો છે.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે શનિવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ઘટનાક્રમમાં મહત્ત્વની દેરેકેદરેક વાસ્તવિકતા સિદ્ધ કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની હોય છે.
આપણ વાચો: બાળકોને બિલ્ડિંગના બીજા માળેથી ફેંકી દેવાનો આરોપ: થાણે કોર્ટે શખસને નિર્દોષ જાહેર કર્યો
ફરિયાદ પક્ષનો આરોપ હતો કે શાન મોહમ્મદ શાબીદ અલી ખાને 9 મે, 2021ના રોજ થાણેના ડાયઘર ખાતે આવેલા તેના ઘરમાં ચોથી પત્ની અરફા ખાનની હત્યા કરી હતી. પત્નીના લગ્નબાહ્ય સંબંધોની શંકા ખાનને હતી. તેણે બાથરૂમના ફ્લોર પર પત્નીનું માથું અફાળ્યું હતું, જેને પગલે તેના માથા અને ચહેરા પર ગંભીર ઇજા થઈ હતી.
અમુક પડોશીઓએ અરફાને લોહીલુહાણ હાલતમાં પડેલી જોઈ હતી. તેના મૃતદેહની બાજુમાં બેસી બે વર્ષનું બાળક રડતું હતું. આ પ્રકરણે ખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ પછી 9 જૂન, 2021 સુધી તે જેલમાં હતો.
મૃતકના તબીબી અહેવાલમાં તેની હત્યા થઈ હોવાની વાતને સમર્થન મળ્યું હતું, પરંતુ પતિને આ કૃત્ય સાથે જોડતી સંપૂર્ણ અને અતૂટ કડીના અભાવને લીધે તેને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો.
જજે આદેશમાં નોંધ્યું હતું કે મૂળભૂત હકીકતો સિદ્ધ કરવાની ફરિયાદ પક્ષની જવાબદારી છે અને ફરિયાદ પક્ષે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ. કોર્ટે એવી પણ નોંધ કરી હતી કે ઘટનાના દિવસે વ્યાપક પંચનામું કરવા છતાં હત્યા માટે ઉપયોગમાં લેવાયેલું રોલિંગ બોર્ડ પછીથી મળ્યું હતું.
મુખ્ય સાક્ષીદારો પણ હત્યાના સમયે આરોપી ઘટનાસ્થળે હતો, એવું સ્થાપિત કરી શક્યા નથી. આ ધ્યાનમાં લેતાં ફરિયાદ પક્ષ દોષ સિદ્ધ કરી શક્યો નથી, એવું કહી શકાય. કોર્ટે આરોપીને જેલમાંથી તુરંત છોડાવનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)



