ગુણવત્તાયુક્ત આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણ માટેના પ્રયાસો સુનિશ્ર્ચિત કરો: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કુદરતી આફતો દરમિયાન જાનમાલ, મિલકત અને માળખાગત નુકસાનને ઓછામાં ઓછું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે નિર્દેશ આપ્યો હતો કે આપત્તિ વ્યવસ્થાપનના પ્રયાસો ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા જોઈએ અને આવી ઘટનાઓ દરમિયાન નાગરિકો માટે જીવન વધુ સહનશીલ બનાવવાનો હેતુ રાખવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન ભંડોળનો ઉપયોગ નિવારણ માટેના પ્રયાસો કાર્ય માટે થવો જોઈએ.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એસડીએમએ)ની બેઠકને સંબોધતા, ફડણવીસે કહ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓ, બંધો અને વીજ લાઇનોના સમારકામ માટે થવો જોઈએ.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી
સમીક્ષા બેઠક દરમિયાન મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે પૂર રેખાઓને ફક્ત નિશાની તરીકે ન ગણવી જોઈએ. તેના બદલે, આ રેખાઓમાં અતિક્રમણ રોકવા માટે પ્રયાસો કરવા જોઈએ. તેમણે વધુ ચોકસાઈ માટે સેટેલાઇટ-આધારિત મેપિંગની ભલામણ કરી હતી અને આપત્તિ વ્યવસ્થાપનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમણે કોંકણ આપત્તિ વ્યવસ્થાપનની પહેલ હેઠળના પ્રોજેક્ટ્સ પર ઝડપી પ્રગતિ માટે હાકલ કરી, જેમાં ભૂગર્ભ વીજ લાઇનો નાખવી, ધોવાણ નિયંત્રણ પાળા અને બંધ બાંધવા, બહુહેતુક ચક્રવાત આશ્રયસ્થાનો બનાવવા, ભૂસ્ખલન નિવારણ માટેનાં પગલાં અમલમાં મૂકવા અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાને તાકીદે સંબોધવાનો સમાવેશ થાય છે.
ફડણવીસે ‘આપત્તિ મિત્રો’ને તાલીમ આપવાની અને તેમનો વ્યાપક ડેટાબેઝ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળના આપત્તિ અનુભવોને વર્તમાન આયોજનમાં ધ્યાનમાં લેવા જોઈએ અને ગ્રામ પંચાયતોને સંપૂર્ણ અભ્યાસ પછી આપત્તિ વ્યવસ્થાપનની કીટ પૂરી પાડવી જોઈએ.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નદીઓની સફાઈ અને કાદવ અને કાટમાળ દૂર કરીને નદી વહન ક્ષમતા વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જળ સંસાધન વિભાગને આ કાર્યને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
આપત્તિ વ્યવસ્થાપન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને ઉમેર્યું હતું કે રાહત કામગીરી દરમિયાન આ કીટનો અસરકારક ઉપયોગ સુનિશ્ર્ચિત કરવા માટે ગ્રામ પંચાયતોને આપત્તિ વ્યવસ્થાપન કીટનું વિતરણ કરવું જોઈએ, સાથે જ તેમના કર્મચારીઓને પૂરતી તાલીમ આપવી જોઈએ.
મીટિંગમાં વાવાઝોડાને લગતા નુકસાનને રોકવા માટે મહાબળેશ્વર અને પાંચગણીમાં વીજ લાઇનોને ભૂગર્ભમાં નાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.