મહાયુતિ જ દિવાળીમાં ફટાકડા ફોડશે: એકનાથ શિંદે…

થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ફક્ત મહાયુતિ ગઠબંધન જ દિવાળી પછી ફટાકડા ફોડશે. તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થવાનો સંકેત આપ્યો હતો.
થાણેમાં રવિવારે મોડી રાતે આયોજિત એક કાર્યક્રમમાં શિંદેએ તેમના રાજકીય માર્ગદર્શક આનંદ દીધે, શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને અંજલી આપી હતી અને કહ્યું હતું કે આ બંને નેતા દ્વારા આપવામાં આવેલી શિખવણ અને મુલ્યો પર તેમના નેતૃત્વ હેઠળની શિવસેના ચાલી રહી છે.
તેમણે હાજર શ્રોતાઓને એવો સવાલ કર્યો હતો કે શું મહાયુતિ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી યોજનાઓ અને કાર્યક્રમો ચાલુ રહે એવી ઈચ્છા ધરાવો છો? ત્યારે સામેથી હકારાત્મક જવાબ આવ્યો હતો.
આ પણ વાંચો : Seat Sharing મુદ્દે પાંચેક દિવસમાં Mahayuti આખરી નિર્ણય લેશેઃ આ નેતાએ કર્યો દાવો
સત્તાધારી મહાયુતિમાં સામેલ ઘટકપક્ષો શિવસેના, ભાજપ અને એનસીપીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો અઘરો પડકાર છે, જેમાં શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે.
વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બરમાં થવાની અપેક્ષા છે.
રાજકીય વિરોધીઓનો ઉલ્લેખ કરતાં એકનાથ શિંદેએ રવિવારે રાતે કહ્યું હતું કે તેમને ગલ્લીમાં અથવા તો દિલ્હીમાં જવા દો, તેમને કોઈ મહત્ત્વ આપશો નહીં. અમે અમારું કામ ચાલુ રાખીશું.
આ પણ વાંચો : મહાયુતિ સરકાર પર સંકટ?
તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે થાણેની બેઠક પરથી નરેશ મ્હસ્કેને ઉમેદવારી આપવાનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, જોકે તે બેઠક જીતી ગયા હતા.
વિરોધીઓ દ્વારા કરવામાં આવતી ટીકાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જેવી રીતે મોગલ સૈન્યને પાણીમાં બધે જ સંતાજી અને ધનાજી (રાજારામ-1ના કાર્યકાળમાં મરાઠા યોદ્ધાઓ જેમણે મોગલો સામેના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી) દેખાતા હતા તેવી જ રીતે દુશ્મનોને બધે જ એકનાથ શિંદે દેખાય છે. જ્યાં સુધી લોકો મારી સાથે છે ત્યાં સુધી ટીકા પર ધ્યાન આપતો નથી, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
રાજ્યમાં સરકાર દ્વારા બધા જ પરિવારોને ખુશ કરવા માટેની યોજનાઓ ચાલુ કરી હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે જ્યાં શિક્ષિત યુવાનોને એપ્રેન્ટિસશીપ અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.