દાદરમાં 27 લાખ રૂપિયાના સોનાની લૂંટના કેસમાં મુખ્ય આરોપી પકડાયો

થાણે: દાદરમાં ટૅક્સીને આંતરીને મારપીટ અને ધમકીને જોરે 27 લાખ રૂપિયાના સોનાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે દોઢ વર્ષે મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો.
માટુંગા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ નીલેશ અખિલેશ શ્રીવાસ્તવ (32) તરીકે થઈ હતી. થાણે જિલ્લાના ટિટવાલા ખાતે રહેતો શ્રીવાસ્તવ દોઢ વર્ષથી ફરાર હતો અને પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ લૂંટની ઘટના 17 ડિસેમ્બર, 2023ની રાતે 12.15 વાગ્યે બની હતી. ફરિયાદી બલરામ કુમાર સિંહ સહકર્મચારીઓ સાથે ટૅક્સીમાં દાદર સ્ટેશન નજીકથી લોઅર પરેલ જઈ રહ્યો હતો. માર્ગમાં રામી હોટેલ સામે રસ્તામાં આરોપીઓએ ફરિયાદીની ટૅક્સીને રોકી હતી.
આ પણ વાંચો: કર્ણાટકથી 45 લાખની ચાંદીની લૂંટ કરી ભાગેલા ચાર આરોપીઓ પાલનપુરથી ઝડપાયા, જાણો વિગત
આ પ્રકરણે માટુંગા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળથી આરોપી જે માર્ગે ફરાર થયા હતા ત્યાંના 200થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસે આરોપીઓની ઓળખ મેળવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ઘટનાના ત્રણ દિવસમાં જ પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે લાખની રોકડ, સોનાની લગડી, છ કિલો કાસ્ટિંગ ગૉલ્ડ અને ફાયલિંગ ડસ્ટ જપ્ત કરવામાં આવી હતી.
જોકે મુખ્ય આરોપી શ્રીવાસ્તવ ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરીને તે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો. તેણે પોતાનો દેખાવ બદલવા માટે દાડી વધારી હતી અને હેરસ્ટાઈલ પણ બદલી નાખી હતી. તેમ છતાં આધારભૂત માહિતીને આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો.