દાદર કબૂતરખાના વિવાદ: BMCએ 142 લોકો પાસેથી ₹68,700નો દંડ વસૂલ્યો, વિરોધ છતાં ભીડ

મુંબઈ: દાદર કબૂતરખાના પાસે કબુતરોને ચણ નાખનાર અને બીએમસી વચ્ચેનો વિવાદ ચાલુ છે આમ છતાં, મહાનગરપાલિકા શહેરના અન્ય કબૂતરખાનાઓ પાસેથી સૌથી વધુ દંડ વસુલવામાં સફળ રહી છે, બીએમસીએ રવિવાર સુધી ૧૪૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૬૮,૭૦૦ વસૂલ્યા હતા.
આશ્ચર્યજનક રીતે, સૌથી વધુ દંડ દાદર કબૂતરખાના પાસેથી વસૂલવામાં આવ્યો હતો, જે કુલ દંડના ૩૨% જેટલો હતો. તેમ છતાં, બપોરે કબુતરોને ચણ નાખવા માટે કબૂતરખાના ખાતે મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઘણી મહિલાઓનો સમાવેશ થતો હતો.
આપણ વાંચો: કબૂતરખાના પર પ્રતિબંધને મુદ્દે સુધરાઈ કમિશનરને પત્ર
ગ્રેડ ટુ હેરિટેજ સ્ટ્રક્ચર પર પ્લાસ્ટિક શીટ પાથરવામાં આવી હતી અને સ્થળ પર બીએમસી સ્ટાફે લોકોને ચણ નાખતા અટકાવ્યા હતા, ત્યારે નજીકના જૈન મંદિરે કબૂતરો માટે પાણીની વ્યવસ્થા કરી હતી અને કેટલાક કબૂતર પાળનારાઓ દ્વારા ધાર્મિક પૂજા પણ કરવામાં આવી હતી.
દાદર પછી, બીજા નંબરે એચ પશ્ચિમ વોર્ડે બાંદ્રા તળાવ નજીકના કબૂતરખાના પાસેથી 15 વ્યક્તિઓ પાસેથી રૂ.૭,૫૦૦ નો દંડ વસુલ્યો હતો. ટી વોર્ડે ૧૩ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી રૂ.૬,૫૦૦ એકત્રિત કર્યા.
આપણ વાંચો: દાદરનું કબૂતરખાનું ખસેડવાનું ફરી વિલંબમાં, કારણ શું છે જાણો?
મલાડ પૂર્વમાં પાંચ કબૂતરખાના ધરાવતા પી પૂર્વ વોર્ડમાંથી રૂ.૬,૦૦૦ દંડ વસુલવામાં આવ્યો . ગોરેગાંવ પશ્ચિમમાં પી સાઉથ, ૧૧ વ્યક્તિઓ પાસેથી રૂ.૫,૫૦૦ દંડ એકત્રિત કરવામાં આવ્યો. જીપીઓ કબૂતરખાનાના પાસેથી આઠ લોકોને દંડ ફટકાર્યો અને રૂ.૪,૦૦૦ એકત્રિત કર્યા.
જૈન સમુદાયે દાદર કબૂતરખાના ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની, ત્યારબાદ ૧૦ ઓગસ્ટે શાંતિ રેલી અને કોર્ટનો ચુકાદો તેમના પક્ષમાં ન આવે તો અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ કરવાની ચીમકી આપી છે. આગામી સુનાવણી ૭ ઓગસ્ટે થવાની છે, જ્યાં કોર્ટ કેઈએમ હોસ્પિટલના તબીબી ડેટા અને બીએમસી અને મુંબઈ પોલીસના અમલીકરણ અહેવાલોની સમીક્ષા કરશે.