મુરબાડમાં આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે ઈંટભઠ્ઠી પર કાર્યવાહી કરી પોલીસે પાંચ મહિલા સહિત આઠ મજૂરને છોડાવી ઈંટભઠ્ઠીના માલિક સામે ગુનો નોંધ્યો હતો.
એક પીડિતની ફરિયાદને આધારે મુરબાડ તાલુકાના ખાટેઘર સ્થિત ઈંટભઠ્ઠીના માલિક સામે ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું મુરબાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
શાહપુર તાલુકાના કાતકરી સમાજના શ્રમિકોને એડ્વાન્સમાં અમુક રકમ ચૂકવીને મજૂર તરીકે બળજબરીથી વધુપડતું કામ કરવાની કથિત ફરજ પાડવામાં આવતી હતી, જેના બદલામાં તેમને વધુ મહેનતાણું પણ ચૂકવવામાં આવતું નહોતું. નાદુરસ્ત તબિયત છતાં તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. તહેવારની રજા પણ તેમને આપવામાં આવતી નહોતી, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું.
સ્થાનિક એનજીઓ દ્વારા આઠ શ્રમિકોને છોડાવવામાં આવ્યા પછી તેમાંથી એકે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ 370(3), 374, 323, 504 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ સિવાય આરોપી સામે બોન્ડેડ લેબર સિસ્ટમ ઍક્ટ અને એસસીએસટી ઍક્ટ પણ લાગુ કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)