મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી: પોલીસ એલર્ટ
ટ્રાફિક ક્ધટ્રોલ રૂમને મેસેજ મોકલનારની શોધ શરૂ

મુંબઈ: મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતો મેસેજ પ્રાપ્ત થયા બાદ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ટ્રાફિક ક્ધટ્રોલ રૂમને ગુરુવારે મોડી રાતે ધમકીભર્યો મેસેજ મોકલનારા શકમંદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે.
પોલીસને શંકા છે કે ધમકીભર્યો મેસેજ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોઇ શકે છે, કારણ કે મેસેજ મોકલવા માટે જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં જે ક્ધટ્રી કૉડ હતો તે પાકિસ્તાનનો હોવાનું જણાયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરલીમાં ટ્રાફિક ક્ધટ્રોલ રૂમના ટ્રાફિક પોલીસ વ્હૉટ્સઍપ નંબર પર ગુરુવારે રાતે 10.30 વાગ્યે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે ‘અમે મુંબઈમાં છ સ્થળે બોમ્બ પ્લાન્ટ કર્યા છે.’
દરમિયાન ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ મુખ્ય ક્ધટ્રોલ રૂમને તેની જાણ કરાઇ હતી અને એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર)ના ભાગરૂપે મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ ટેરરિઝમ સ્કવોડ) સહિત તમામ સુરક્ષા એજન્સીઓને માહિતી આપવામાં આવી હતી.
પોલીસને કહ્યું હતું કે મેસેજ મોકલનારે કંઇ પણ સ્પષ્ટ કર્યું નહોતું, તેમ છતાં મહત્ત્વનાં સંસ્થાનો ખાતે તહેનાત સુરક્ષાકર્મીઓને સાવચેત રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ તથા વ્યક્તિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ધમકીનો મેસેજ મોકલનારનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમના વ્યવસ્થાપનને જાન્યુઆરીના પહેલા સપ્તાહે ઇમેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં મ્યુઝિયમ, નેહરુ સાયન્સ સેન્ટર, રાણીબાગ સહિત આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપવામાં આવી હતી.