પાણી ભરેલા ખાડામાં તરવા ગયેલા ત્રણ બાળક ડૂબ્યા…

મુંબઈ: શાળામાં ભણતા ત્રણ બાળક કન્સ્ટ્રકશન સાઈટ પરના પાણી ભરેલા ખાડામાં તરવા જતાં ડૂબી ગયા હોવાની ઘટના પાલઘર જિલ્લાના બોઈસર ખાતે બની હતી. ડૂબવાને કારણે બે ભાઈ સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમનો એક મિત્ર બચી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જીવ ગુમાવનારા બાળકોની ઓળખ સૂરજ યાદવ (7), ધીરજ યાદવ (11) અને અંકિત ગુપ્તા (11) તરીકે થઈ હતી. સૂરજ અને ધીરજ ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બોઈસરના ગણેશ નગર વિસ્તારમાં રહેતા ચાર બાળક ગુરુવારની બપોરે દોઢેક વાગ્યે ઘર નજીકની ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગયા હતા. કહેવાય છે કે ઝૂંપડપટ્ટી પાસેની દીવાલ કુદાવીને ચારેય પાણી ભરેલા ખાડા નજીક પહોંચ્યા હતા. મોજ ખાતર ખાડાના પાણીમાં તરવા ઊતરેલા ચારમાંથી ત્રણ બાળક ડૂબવા લાગ્યા હતા, જ્યારે એક પોતાનો જીવ બચાવીને ખાડામાંથી બહાર નીકળી શક્યો હતો.
ઘટનાની જાણ થતાં બોઈસર પોલીસ અને તારાપુર ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્રણેયના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રકરણે બોઈસર પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.