આમચી મુંબઈ

BMC ચૂંટણી પહેલા મુંબઈ બન્યું રાજકીય અખાડોઃ એક મંચ પર ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ, શિવસેના અને કોંગ્રેસના નેતાઓ આવ્યા આમનેસામને

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ની ચૂંટણી પહેલા મુંબઈનું રાજકારણ ગરમાયું છે. એક કાર્યક્રમમાં મરાઠી અસ્મિતા અને મેયર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં કથિત ભ્રષ્ટાચારને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા.

ચર્ચા વિકાસના મુદ્દાઓ કરતાં રાજકીય નેરેટિવ અને ઓળખના રાજકારણ પર વધુ કેન્દ્રિત હતી, પરંતુ અહીંના કાર્યક્રમના મંચ પર નેતાઓ આમનેસામને આવીને એકમેકની પાર્ટી પર ગંભીર આરોપો મૂક્યા હતા.

આપણ વાચો: મુંબઈ પાલિકાની ચૂંટણીમાં તણાવ વધ્યો: ગુજરાતી સમુદાય ત્રિભેટે

મરાઠી વિરુદ્ધ બિનમરાઠી ચર્ચાને વિપક્ષે નેરેટિવ ગણાવ્યોઃ ભાજપ

ભાજપના નેતા અને મહારાષ્ટ્રના આઇટી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે બીએમસીમાં ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દેતા કહ્યું કે, જો 2014 પછી કોઈ ગેરરીતિ થઈ હોય, તો તેની તપાસ પણ કરવામાં આવી છે અને દોષિતો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

શેલારે દાવો કર્યો હતો કે મુંબઈમાં દેશમાં શ્રેષ્ઠ નાગરિક માળખાગત સુવિધાઓ છે. તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ એટલી ખરાબ હોત તો દેશના મોટા ઉદ્યોગપતિઓ, ક્રિકેટર્સ અને ફિલ્મસ્ટાર્સ મુંબઈ છોડીને ચાલ્યા ગયા હોત. તેમણે મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી ચર્ચાને વિપક્ષ દ્વારા ‘એક નેરેટિવ ‘ ગણાવ્યો હતો.

આપણ વાચો: BMC ચૂંટણીમાં કોંગ્રેસ એકલે હાથે લડશે: મુંબઈમાં સર્જાશે નવું રાજકીય સમીકરણ

વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસઃ યુબીટી સેના

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા વરુણ સરદેસાઈએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મરાઠી માણસની ઓળખ નામ, અટક કે ધર્મથી નથી થતી. સરદેસાઈના મતે, સાચો મુંબઈકર એ છે જે મરાઠી ભાષાનો આદર કરે છે અને મુંબઈને પોતાનું માને છે, પછી ભલે તેનું નામ મહેતા, શાહ, યાદવ કે ખાન હોય.

તેમણે ‘ખાન-કુરેશી’ જેવા શબ્દોના વારંવાર ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. તેમણે દાવો કર્યો હતો કે મરાઠી મત હવે ‘ઠાકરે બ્રાન્ડ’ સાથે છે અને મુંબઈના મેયર મરાઠી જ હશે.

સત્તામાં રહેનારા જવાબદારીમાંથી છટકે નહીંઃ કોંગ્રેસ

અહીંના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે ભાજપ અને શિવસેના બંને પર તીખા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જે લોકો 30 વર્ષથી બીએમસીમાં સત્તામાં છે તેમને ભ્રષ્ટાચારની જવાબદારીમાંથી છટકી જવાનો અધિકાર નથી.

સાવંતે ગેરકાયદે બાંધકામ, બ્રોકર નેટવર્ક, ફિક્સ ડિપોઝિટમાં ઘટાડો અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કથિત અનિયમિતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો વિકાસનો શ્રેય બંને લેતા હોય તો નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની જવાબદારી પણ બંનેની છે.

ત્રણેય નેતાઓ વચ્ચે ‘મરાઠી મેયર વિરુદ્ધ હિન્દુ મેયર’નો મુદ્દો ચર્ચાનું સૌથી મોટું કેન્દ્ર બન્યો. શિવસેનાએ તેને મુંબઈની સાંસ્કૃતિક ઓળખ અને આત્મસન્માન સાથે જોડ્યું, જ્યારે ભાજપે તેને બિનજરૂરી અને ધ્યાન ભટકાવતો મુદ્દો ગણાવ્યો. કોંગ્રેસે આ સમગ્ર ચર્ચાને BMCના વાસ્તવિક મુદ્દાઓ જેમ કે વાયુ પ્રદૂષણ, ચોમાસામાં પાણી ભરાવું, ગટર, કચરો વ્યવસ્થાપન અને જાહેર આરોગ્યથી ધ્યાન ભટાકાવનારું ગણાવ્યું હતું.

એકંદરે, આ ચર્ચા સ્પષ્ટપણે દર્શાવે છે કે BMC ચૂંટણીઓ હવે ફક્ત મ્યુનિસિપલ ચૂંટણીઓ રહી નથી. તે મરાઠી ઓળખ, હિન્દુત્વ, વિકાસ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ માટે એક મોટું પ્લેટફોર્મ બની ગઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દાઓ મુંબઈના રાજકારણની દિશા અને મતદારોના મૂડ નક્કી કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button