બળાત્કારના કેસમાં બાંગ્લાદેશી નાગરિકને આઠ વર્ષની જેલ

થાણે: બળાત્કારના કેસમાં બેલાપુરની સેશન્સ કોર્ટે બાંગ્લાદેશી નાગરિકને કસૂરવાર ઠેરવી આઠ વર્ષની જેલની સજા સંભળાવી હતી, જ્યારે તેની પત્ની સહિત બેને ભારતમાં ગેરકાયદે વસવાટ પ્રકરણે પાંચ વર્ષની કેદ ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ પરાગ એ. સાનેએ 24 ઑક્ટોબરે આપેલા ચુકાદાની નકલ શુક્રવારે પ્રાપ્ત થઈ હતી. અલગ અલગ કેસમાં દોષી ઠરેલા ત્રણેયને સજા પૂરી થયા પછી બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવશે.
તપાસકર્તા પક્ષ અનુસાર જોશીમ સોબુર મુલ્લા (26) પર બાંગ્લાદેશથી લવાયેલી બે સગીર છોકરી પર બળાત્કાર ગુજારવાનો આરોપ હતો. એક એનજીઓની માહિતીને આધારે પોલીસે કાર્યવાહી કરી 2017માં બન્ને સગીરને છોડાવી હતી.
આપણ વાચો: સગીરા અને તેના પિતાએ આરોપ પાછા ખેંચતાં કોર્ટે બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ છોડ્યો
કોર્ટે જોશીમને ભારતીય દંડ સંહિતાની બળાત્કારની કલમ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો, પરંતુ તપાસકર્તા પક્ષ બન્ને છોકરીની ઉંમર સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો હોવાથી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ જોશીમને કસૂરવાર ઠેરવાયો નહોતો.
કોર્ટે માનવ તસ્કરીનો આરોપ પણ પડતો મૂક્યો હતો. જોશીમને બળાત્કારના કેસમાં કસૂરવાર ઠેરવવા ઉપરાંત તેની પત્ની મુર્શિદા અને જના રાબુલ મુલ્લાને પાસપોર્ટ ઍન્ડ ફોરેનર્સ ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી.
વિશેષ સરકારી વકીલ યોગેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ખટલા દરમિયાન 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશની બન્ને છોકરીને દેહવેપારમાં ધકેલવા પ્રકરણે સંડોવાયેલા પાંચ આરોપીને કોર્ટે બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ)
 
 
 
 


