એવિયેશન કંપનીએ પ્રવાસીઓ માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું કરી અપીલ?

મુંબઈઃ મુંબઈ સહિત પરામાં 48 કલાકથી ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, તેમાંય વળી વરસાદનું જોર વધતા એરલાઈન સેક્ટરની વિવિધ કંપની પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.
ઈન્ડિગોએ પેસેન્જરને જણાવ્યું છે કે નિર્ધારિત સમય પૂર્વે વહેલા ઘરેથી નીકળો અને એરપોર્ટ પહોંચવામાં સંભવિત વિલંબને ધ્યાનમાં રાખવામાં આવે. એરલાઈને પ્રવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે પ્રવાસીઓ પોતાની ફ્લાઈટની સ્થિતિ પણ વેબસાઈટ પર ચેક કરતા રહો.
ઈન્ડિગોએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, પરિણામે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. ખાસ કરીને એરપોર્ટના રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે પેસેન્જર ટ્રાફિકને અસર થઈ શકે છે. ટ્રાફિક ધીમો પડ્યો છે, તેથી જો તમારી કોઈ ફ્લાઈટ હોય તો ખાસ ધ્યાન રાખો.
એર ટ્રાફિક ઓપરેટર પણ ફ્લાઈટના ઓપરેશન પર વિશેષ કોઈ અસર પડે નહીં તેનું ધ્યાન રાખી રહી છે, પરંતુ સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પણ સહયોગ અને સમજદારીપૂર્વક કામ કરે. ઈન્ડિગો સિવાય સ્પાઈસ જેટ, અકાસા એરે પણ પ્રવાસીઓને નિર્ધારિત સમયપૂર્વે ટ્રાવેલ કરવાની અપીલ કરી છે.
અહીં એ જણાવવાનું કે શનિવારે બેંગકોકથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોનું એક વિમાન રન-વે પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થતા માંડ બચ્યું હતું. વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી એવિયેશન સેક્ટરની કંપનીઓ પણ પેસેન્જર સેફ્ટીને લઈ વધુ સતર્ક બની છે.
આપણ વાંચો: USએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, ભારતના આ રાજ્યોમાં નહીં જવા સલાહ આપી
મહારાષ્ટ્રમાં એક અઠવાડિયા લાંબી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રના કોંકણ અને આસપાસના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
ઉપરાંત, મરાઠવાડામાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. કોંકણમાં તો ખાસ કરીને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, જ્યારે કલાકના 40-50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
અહીં એ જણાવવાનું કે મુંબઈમાં મે, જૂન મહિનાના અંતમાં અચાનક વરસાદ પડ્યા પછી એકંદરે વરસાદની ભરપાઈ કરી હતી. ઓગસ્ટના પહેલા પંદર દિવસ વરસાદની રાહ જોવડાવ્યા પછી 48 કલાકમાં ભારે વરસાદ પડતા અનેક રેકોર્ડ તોડ્યા છે.
ઉપરાંત, ભારે વરસાદથી ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાને કારણે જાનહાનિના સમાચાર મળ્યા છે, તેથી પ્રશાસને પણ મુંબઈગરાઓને બિનજરુરી બહાર નીકળવાની ભલામણ કરી હતી.