આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી ચાલુ કરવી પડશે: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની લોકસભામાં બેઠકોની વહેંચણીને મુદ્દે ફરી એક નવો વિવાદ જન્મ્યો છે. શિવસેના (યુબીટી)ની લોકસભાની 23 બેઠકોની માગણીને કૉંગ્રેસે ફગાવી દીધાના બીજા દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શૂન્યથી શરૂ કરવાની રહેશે કેમ કે તેમણે ગઈ ચૂંટણીમાં એકેય બેઠક જીતી નહોતી.

સંજય રાઉતે કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અવિભાજીત શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ લોકસભાની 23 સીટ પર ચૂંટણી લડીને 18 બેઠક પર વિજય મેળવ્યો હતો. જોકે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ગયા વર્ષે શિવસેનામાં ભાગલા પડ્યા હતા.

શરદ પવારના નેતૃત્વ હેઠળ અવિભાજિત એનસીપીએ ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસે ફક્ત એક જ બેઠક પર વિજય મેળવ્યો હતો અને ચંદ્રપુરના વિજયી ઉમેદવારા બાળુ ધાનોરકરનું ચાલુ વર્ષના પ્રારંભે નિધન થયું હોવાથી અત્યારે લોકસભામાં કૉંગ્રેસનું રાજ્યમાંથી કોઈ પ્રતિનિધિત્વ નથી.

રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સહિત શિવસેના (યુબીટી)ના નેતાઓ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે, પાર્ટીના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સચિવ કે. સી. વેણુગોપાલ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા કરી રહ્યા છે.

અમે એવી રજૂઆત કરી છે કે અમે મહારાષ્ટ્રમાં 23 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ લડશું. આ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાંથી પણ લડીશું. તેમણે ભારપુર્વક કહ્યું હતું કે શિવસેના (યુબીટી) મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે. કૉંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે, એમ રાઉતે કહ્યું હતું.

અમે નિર્ણય લીધો છે કે અમારા દ્વારા જીતવામાં આવેલી બેઠકો અંગે બાદમાં ચર્ચા થશે. કૉંગ્રેસ તેમાં આવતી નથી કેમ કે તેમણે એકેય બેઠક જીતી નથી. આથી તેમની સાથેની ચર્ચાની શરૂઆત શૂન્યથી કરવાની રહેશે, એમ રાઉતે કહ્યું હતું.
પાર્ટીની તાકાત જમીન પર જોવા મળે છે. અમારી પાર્ટીનું વિભાજન થયું હોવા છતાં અમારા કાર્યકર્તાઓ અમારી સાથે છે. અમે અંધેરી પેટાચૂંટણીમાં વિજય મેળવ્યો હતો અને તેમણે (કૉંગ્રેસ) કસ્બા પેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

સંજય નિરૂપમનો તડફડ જવાબ
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કરેલા નિવેદનનો અત્યંત આકરા શબ્દોમાં જવાબ આપતાં મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યું હતું કે શિવસેના પોતાની તાકાત પર એકેય બેઠક જીતી શકશે નહીં અને આવું જ મહાવિકાસ આઘાડીના બધા જ ઘટક પક્ષો માટે સાચું છે.

નિરૂપમે કહ્યું હતું કે અવિભાજિત શિવસેના દ્વારા ગયા વખતે જે 18 બેઠકો જીતવામાં આવી હતી તેમાંથી એક ડઝન સંસદસભ્યો શિવસેનાને છોડીને જતા રહ્યા છે. બીજી તરફ એવી કોેઈ ગેરેન્ટી નથી કે બાકી બચેલા સંસદસભ્યો પણ તેમની સાથે રહેશે કે નહીં.

કૉંગ્રેસ મહાવિકાસ આઘાડીનો મુખ્ય ઘટક પક્ષ છે. બધા સાથે મળીને લડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button