ચૂંટણી જાહેર થયા પછી મહાયુતિની કોન્ફરન્સમાં અજિત પવારે કર્યો આ દાવો…
![Ajit Pawar made this claim in the Mahayuti conference](/wp-content/uploads/2024/10/Ajit-Pawar-made-this-claim-in-the-Mahayuti-conference.webp)
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ-શિંદે શિવસેના અને અજિત પવાર એનસીપી)એ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અહીંની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષી દળના લોકો મહાયુતિ સામે ‘ફેક નેરેટિવ સેટ’ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સફળતા મળશે નહીં.
અમારી સરકારે બે વર્ષમાં જે કામકાજ કર્યું છે, તેનાથી વિરોધીઓ હરકતમાં આવી ગયા છે, પણ અમે તો કામ કરનારા લોકો છીએ, એમ અજિત પવારે જણાવ્યું હતું.
અજિત પવારે કહ્યું કે ગઈકાલે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી હતી. પણ વિપક્ષી દળના લોકો તો ‘ફેક નેરેટિવ સેટ’ કરી રહ્યા છે. ચૂંટણી પંચના પોતાના નિર્ણયો હોય છે. અમે 2022થી લઈને 2024 સુધી રિપોર્ટ કાર્ડ આપ્યું છે. હું મહારાષ્ટ્રના લોકોને કહીશ કે છેલ્લા કેટલાક દિવસોમાં જે કેબિનેટે નિર્ણયો લીધા છે, જે યોજનાઓ જાહેર કરી છે તેના પર પણ સવાલો કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…
‘લાડલી બહન યોજના’ અન્વયે અમે મહિલાઓ માટે કામ કર્યું છે. હવે એના પર પણ વિપક્ષ તરફથી કહેવાયું છે કે આ પૈસા આવશે નહીં, જ્યારે પૈસા આવ્યા તો કાઢી લેવાનું કહ્યું હતું. વિપક્ષના નેતાઓ કંઈ પણ બોલી રહ્યા છે, એમ અજિત પવારે જણાવ્યું હતું.
વિપક્ષી પાર્ટીનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કંઈ આવી રહ્યું નથી. યોજનાઓ અને પૈસા બીજી જગ્યાએ જાય છે. અમે અમારી યોજનાઓની સમગ્ર માહિતી આપી છે. અમે તમામ વર્ગના લોકો માટે કામ કર્યું છે. અમારી કામગીરીને જોઈને વિરોધીઓ ગભરાયા છે, એમ ઉમેરતા અજિત પવારે કહ્યું કે ચૂંટણીઓ તો આવતીજતી રહેશે.
અમે તમામ યોજનાઓ સમજી-વિચારીને જાહેર કરીએ છીએ. અગાઉની સુશીલ કુમાર શિંદેની સરકારે ચૂંટણી પહેલા અને પછી જે કાંઈ કર્યું હતું, એવું અમારી સરકાર કરશે નહીં. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમારા માટે ચૂંટણીની જાહેરાત થઈ છે, પરંતુ અમુક લોકો માટે જાહેરાત થઈ નથી.