મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોળકર માટે તિજોરી ખોલી, 681 કરોડને ખર્ચે સ્મારક વિકસાવવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં અહિલ્યાદેવી હોળકરના સ્મારકનું સંરક્ષણ અને વિકાસ 681 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે તાજેતરમાં પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકરના સન્માનમાં અહિલ્યાનગરમાં કેબિનેટની બેઠક યોજી હતી.
બુધવારે, રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ જાહેરાત કરી હતી. અહિલ્યાદેવીના જન્મસ્થળ ચૌંડી ખાતે સ્થિત સ્મારકના વિકાસ માટે આયોજન વિભાગ તરફથી 681 કરોડ રૂપિયાના ખર્ચને વહીવટી મંજૂરી આપી હતી.
આપણ વાંચો: ફડણવીસે ચાફેકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, ક્રાંતિકારી ભાઈઓની અજોડ બહાદુરીને બિરદાવી
મહારાષ્ટ્ર સરકારે આ રકમ ભારતીય ઇતિહાસમાં કુશળ શાસકોમાંના એક તરીકે ઓળખાતા અહિલ્યાબાઈ હોળકરના સ્મારક માટે એવા સમયે જાહેર કરી છે જ્યારે આ મહિનાની 31 મેના રોજ તેમના જન્મના 300 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારે 36 મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે
અહિલ્યાદેવી હોળકરનું જન્મસ્થળ મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના જામખેડ તાલુકાના મૌજે ચૌંડીમાં આવેલું છે. વિશ્ર્વના મહાન મહિલા શાસકોમાંના એક અહિલ્યાદેવીના જન્મસ્થળ ચૌંડીમાં સ્મારક માટે મહારાષ્ટ્ર સરકારે મોટું બજેટ ફાળવ્યું છે. આની જવાબદારી સ્થાનિક કલેક્ટરને સોંપવામાં આવી છે.
સ્મારકના કાર્યમાં ઐતિહાસિક મહત્વ અને સ્થાપત્ય શૈલીને સુરક્ષિત રાખવાનો નિર્દેશ અપાયો છે. સરકારે આગામી ત્રણ વર્ષમાં વિકાસ યોજના હેઠળના તમામ કામ પૂર્ણ કરવા જણાવ્યું છે. સ્મારકનું કાર્ય પૂર્ણ કરવાની તારીખ 31 મે 2028 નક્કી કરવામાં આવી છે.