મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…

મુંબઈઃ મુંબઈગરા માટે સોમવારની સવાર ખૂબ જ ગોઝારી રહી હતી. મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પડી જતાં પાંચ પ્રવાસીઓ પડી જતાં તેમનું મૃત્યુ હતું જ્યારે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ હવે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને ઓટોમેટિક દરવાજા બેસાડવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.
રેલવે દ્વારા આ બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે બંને લોકલ ટ્રેકમાં દોઢથી બે મીટરનું અંતર હોય છે, પરંતુ એક જ સમયે સામસામેથી પસાર થઈ રહેલી બે ટ્રેનોના દરવાજા પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને બેગ અથડાતા આ અકસ્માત થયો હતો.
રેલવે એક્શન મોડમાં
આ દુર્ઘટના બાદ રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા થાણેથી સીએસએમટી વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈનનું કામ ઝડપી બનાવવામાં આવે છે. આ પ્રકારની આ પહેલી જ ઘટના બની છે, જેમાં એક જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલાં ટ્રેનના ફૂટબોર્ડ પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ પડ્યા હોય. અકસ્માત થયો એ સ્થળે સીસીટીવી હતા કે નહીં, લોકલમાં ભીડ કેટલી હતી એ તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.
લોકલ ટ્રેનમાં ચાલી રહેલાં ઝઘડાને કારણે થઈ દુર્ઘટના?
જોકે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને એ કારણે પણ આ ધક્કા મુક્કી થઈને પ્રવાસીઓ ટ્રેક પડ્યા હતા. જોકે, આ બાબતે કોઈ પ્રત્યક્ષદર્શી કે સત્તાવાર માહિતી સામે આવી શકી નથી.
લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ડોર બેસાડાશે
રેલવે બોર્ડ દ્વારા પણ લોકલ ટ્રેનમાં ઓટોમેટિક ડોર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હાલમાં દોડાવવામાં આવતી લોકલ ટ્રેનના કોચનું પણ રિડિઈઝાઈનિંગ કરવામાં આવશે, અને આ કોચમાં પણ ઓટોમેટિક ડોર બંધ થાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના સીપીઆરઓ સ્વનિલ નીલાએ આપી હતી.
પુષ્પક એક્સપ્રેસનો કોઈ સંબંધ નથી
રેલવે દ્વારા આ અકસ્માત પુષ્પક એક્સપ્રેસ અને લોકલ ટ્રેનની અથડામણ થઈ હોવાના અહેવાલને રદીયો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે પુષ્પક એક્સપ્રેસમાં ચડવા જતાં કેટલાક પ્રવાસીઓ પડી ગયા હતા. જોકે, રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક્સિડન્ટ સાથે પુષ્પક એકસપ્રેસનો કોઈ સંબંધ નથી.