મ્યુનિસિપલ તિજોરી ખાલી કરી નાખી, હવે રાજ્ય સરકાર વળતર આપે: આદિત્ય ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યભરમાં વરસાદે તબાહી મચાવી છે. તેની સાથે, છેલ્લા બે – ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદથી મુંબઈને ભારે ફટકો પડ્યો છે અને શહેરના ઘણા રસ્તાઓ સોમવારના વરસાદમાં પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ પરિસ્થિતિ માટે રાજ્યની ભાજપ સરકાર અને નગરવિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેને જવાબદાર ઠેરવ્યા છે. મંગળવારે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આદિત્ય ઠાકરેએ શાસક પક્ષની આકરી ટીકા કરી હતી.
આદિત્ય ઠાકરેએ વરસાદને કારણે મુંબઈમાં થયેલા ઘરો અને દુકાનોના નુકસાન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નહીં પણ રાજ્ય સરકારના ખજાનામાંથી વળતર આપવાની માગણી કરી હતી.
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું ખૂબ જ સહેલી છે, પરંતુ ગઈકાલનો વરસાદ આ મહિનાનો પહેલો વરસાદ નહોતો. મે મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ પડ્યો હતો.
ત્યારે પણ પરિસ્થિતિ આવી જ હતી, સાકીનાકા વિસ્તાર સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો હતો. ઉપરાંત ગયા અઠવાડિયે પણ સાકીનાકા અને અંધેરી સબવે વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી.
આપણ વાંચો: આદિત્ય ઠાકરેનો દાવો, લાડકી બહેન યોજના ‘વત્તા ઓછા અંશે સમાપ્ત’
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, ‘આ વરસાદથી જે લોકો પ્રભાવિત થયા છે, જેમના ઘરો અને દુકાનોને નુકસાન થયું છે તેમના માટે વળતરની માગણી કરવા માટે હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું.
તમે મુંબઈ મહાનગરપાલિકાનો ખજાનાનો કસ કાઢી નાખ્યો છે, તેથી રાજ્ય સરકારની તિજોરીમાંથી વળતર આપવું જોઈએ. ગઈકાલે વરસાદને કારણે જે અંધાધૂંધી સર્જાઈ હતી તે ફક્ત વરસાદને કારણે નહોતી. આ સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની નિષ્ફળતા છે.
શું આ રાજ્યમાં સરકાર અને વહીવટીતંત્રનું અસ્તિત્વ છે? સરકાર અને વહીવટીતંત્ર મજા કરવામાં વ્યસ્ત છે. દરેક જગ્યાએ ભાગલાનું રાજકારણ ચાલી રહ્યું છે, આ જિલ્લો મારા માટે છે અને તે જિલ્લો તમારા માટે છે.
ક્યાંય કોઈ કામ થતું દેખાતું નથી. બ્રીચ કેન્ડી, નરીમાન પોઈન્ટ, હિંદમાતા અને મંત્રાલયના વિસ્તારોમાં પહેલા ક્યારેય પાણી જમા થયું ન હતું, પરંતુ હવે ત્યાં પણ પાણી જમા થઈ રહ્યું છે. આ માટે ભાજપ સરકાર અને નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદે જવાબદાર છે, એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.