વાંક કોનો વરસાદનો કે તંત્રનો? મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદઃ વરસાદના કારણે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે. ઘણી જગ્યાએ તો તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ રાખે છે. જે કામ વરસાદ પહેલા પૂર્ણ કરવાનું હોય છે, તે કામ ચાલુ વરસાદે શરૂ કરવામાં આવે છે. જેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાય છે. આજે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Mumbai-Ahmedabad National Highway) પર પાંચ કિલોમિટર સુધી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ ખાડા પડી ગયા છે અને તંત્ર તેનું સમારકામ કરવાની કામગીરી કરી રહ્યું છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દોઢ કલાક સુધી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યાં હતા.
વરસાદના કારણે મોટાભાગના શહેરમાં રસ્તાની હાલત કફોડી
મહત્વની વાત એ છે કે, વરસાદના કારણે મોટાભાગના શહેરમાં રસ્તાની હાલત કફોડી બની જાય છે. નવા બનાવેલો રોડ પણ પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે. આખરે શા માટે આટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે? સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમ છતાં કામગીરીમાં ધાંધિયા હોય છે. આવા લોકોના કારણે બીજા હજારો લોકોને પરેશાન થવું પડતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોટા શહેરમાં રોડ પર ખાડા પડવાના કારણે વાહનચાલકોને ખૂબ જ હેરાન થાય છે.
દર ચોમાસામાં શહેરની આવી જ સ્થિતિ હોય છેઃ સ્થાનિકો
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, શહેરમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ જાય છે. રસ્તાઓ પર ભુવા પડ્યાના સમાચારો પણ મળે છે. આવી સ્થિતિમાં શહેરમાં રહેવું મુશ્કેલ બની જાય છે. આવુ માત્ર આ વર્ષે જ નહીં પરંતુ દર ચોમાસામાં શહેરની આવી જ સ્થિતિ હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. જો 3 ઈંચ કરતા વધારે વરસાદ આવ્યો તો શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ હોય છે. લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી. તેમ છતાં પણ તંત્ર દ્વારા સારી રીતે પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી. કરોડો રૂપિયાના ખર્ચે રોડ તૈયાર થયો તેનું માત્ર કાગળો પર જ છાપી દેવામાં આવે છે.
આ પણ વાંચો…ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે