1993નાં રમખાણોના કેસનો ફરાર આરોપી 32 વર્ષે પકડાયો | મુંબઈ સમાચાર

1993નાં રમખાણોના કેસનો ફરાર આરોપી 32 વર્ષે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં 1993માં થયેલાં કોમી રમખાણોના કેસમાં 32 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે વડાલા પરિસરમાંથી પકડી પાડ્યો હતો.

વડાલા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આરીફ અલી હશમુલ્લા ખાન (54) તરીકે થઈ હતી. શનિવારે પકડાયેલા આરોપી ખાનને કોર્ટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: પહલગામના આતંકવાદીઓ કોમી રમખાણો કરાવવા માગતા હતા, લોકોએ એક રહેવું જોઈએ: ભુજબળ

1993નાં કોમી રમખાણો બાદ ખાન વિરુદ્ધ વડાલા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ખાનને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ બજાવાઈ હતી. જોકે ખાન સુનાવણી દરમિયાન હાજર થતો નહોતો. પરિણામે કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો.

છેલ્લાં 32 વર્ષથી ખાન સંતાતો ફરતો હતો. તાજેતરમાં વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવાનો આદેશ અપાયો હતો. વડાલા પોલીસે પણ ખાનની શોધ હાથ ધરી હતી.

પોલીસની ટીમ ખાનના ઉત્તર પ્રદેશ સ્થિત ગામે ગઈ હતી. ત્યાંથી મળેલી માહિતીને આધારે છેલ્લા કેટલાક દિવસથી પોલીસની ટીમ એન્ટોપ હિલ અને દિનબંધુ નગર ખાતે ખાનની શોધ ચલાવી રહી હતી. આખરે શનિવારે દિનબંધુ નગર ખાતેથી ખાન હાથ લાગ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button