મેટિની

કવર સ્ટોરી: રામાયણ’ની રામાયણ ને પારાયણ

-હેમા શાસ્ત્રી

અયોધ્યાના રાજા દશરથના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રની જીવનકથા પરથી વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય એટલે રામાયણ. આ ભવ્યતર ગ્રંથ પરથી ફિલ્મ કે ટીવી સિરિયલ બનાવવા એક ભગીરથ જવાબદારી છે. ‘દંગલ’, ‘છિછોરે’, ‘બવાલ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરવા ઉપરાંત ‘બરેલી કી બરફી’ અને ‘નીલ બટે સન્નાટા’ જેવી ફિલ્મોના લેખનકાર્ય સાથે સંકળાયેલા ફિલ્મમેકર નિતેશ તિવારીએબે ભાગમાં ‘રામાયણ’ ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું છે. મહાકાવ્યને રૂપેરી પડદા પર યોગ્ય ન્યાય આપવા ઉપરાંત પડદા બહાર પર નિતેશ તિવારી કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે. ટૂંકમાં ‘રામાયણ’ની રામાયણ અને એની પારાયણ સમજવા જેવી છે.

રામાયણનો એક અર્થ મુશ્કેલી, અડચણ પણ થાય છે અને પારાયણ એટલે પૂર્ણ વાંચન તો ચાલો, સમજીએ ‘રામાયણ’ની રામાયણ અને પારાયણ. બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ સમક્ષ સૌથી મોટો પડકાર છે લીકેજનો. મતલબ કે ફિલ્મ મેકિંગ કઈ રીતે થઈ રહ્યું છે એની કોઈપણ જાણકારી સેટની ચાર દીવાલ ભેદી બહાર ન નીકળી જાય એની તકેદારી રાખવાની. દિવારોં કે ભી કાન હોતે હૈં એ સર્વવિદિત હોવાથી શૂટિંગ દરમિયાન ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

સૌથી મહત્ત્વનો મુદ્દો છે ફિલ્મ સંબંધિત કોઈ ફોટોગ્રાફ કે વીડિયો લીકેજનો. પાપારાઝી એટલે કે સેલિબ્રિટી કે ગ્લેમર ધરાવતી ઘટનાનું ચોરીછૂપીથી ફોટોગ્રાફી કરવા કે કે વીડિયો શૂટિંગ કરવા ટાંપીને બેઠેલા ફોટોગ્રાફર્સથીબચવા માટે મોટા ભાગનું શૂટિંગ ઈન્ડોર એટલે કે ચાર દીવાલ વચ્ચે બંધ હોય એ રીતે કરવામાં આવે છે.

એટલું જ નહીં, ઉપરથી પણ સેટનો વિસ્તાર ઢાંકી રાખવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ સેટ પર ઘૂસી ન જાય એ માટે ટાઈટ સિક્યોરિટી સાથે દેખરેખ થઈ રહી છે. સેટ પર હાજર દરેક કલાકાર-કસબી માટે ‘નો ફોન પોલિસી’ રાખવામાં આવી છે. મતલબ પાસે ફોન રાખવાની મનાઈ છે. એકાદ મહિના પહેલા રણબીર કપૂર-સાઈ પલ્લવીના રામ-સીતાના ગેટઅપમાં ફોટોગ્રાફ લીક થયા પછી આ જાપ્તો વધુ કડક બનાવવામાં આવ્યો છે.

‘રામાયણ’ અંગે બીજી એક રામાયણ છે દરેક પાત્ર માટે કલાકારની વરણી. મોટા કેનવાસની ફિલ્મ હોવાથી અનેક પાત્રો હોય એ સ્વાભાવિક છે અને એને માટે વિવિધ એક્ટરની પસંદગી કરવી એ પણ નાનુંસૂનુ કામ નથી. ’રામાયણ’નાકાસ્ટિંગ ડિરેક્ટર છે મુકેશ છાબરા. રોલ માટે ફિટ બેસે એવા અભિનેતાની વરણી કરવામાં મિસ્ટર છાબરાનીમાસ્ટરી માનવામાં આવે છે.
જોકે. ’રામાયણ’નાં વિવિધ પાત્રો માટે કલાકારની પસંદગી કરવી એ એક બહુ મોટો પડકાર હોવાનું મુકેશ છાબરાએ જાહેરમાં કબૂલ્યું છે. પાત્રમાં ફિટ બેસે એવા એક્ટર ઉપરાંત સેટ પર એમની હાજરીથી મંગળ વાતાવરણ રહે એવા કલાકારની પસંદગી કરવાનો તેમનો આગ્રહ હતો અને છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી: હોલિવૂડનો અખતરો હવે હિન્દીમાં…

જોકે, આ પ્રક્રિયામાં કેટલીક મુશ્કેલી-અડચણનો સામનો કરવો પડ્યો છે. એક્ટરનું નામ નક્કી કર્યા પછી એ પાત્ર ભજવવા પોતાની અસમર્થતા અમુક કલાકારોએ દર્શાવી છે. પરિણામે કાસ્ટિંગ ડિરેક્ટરે ફેરવિચાર કરવો પડ્યો છે જે આસાન કામ નથી. સિલેક્ટ કર્યા પછી ના પાડી હોય એવા એક્ટર્સમાં સૌથી જાણીતું નામ પ્રિયંકા ચોપડાનું છે. રામાયણમાં શૂર્પણખાનું પાત્ર અત્યંત મહત્ત્વનું છે. રાવણની બહેન અને રાક્ષસી રાજકુમારી શૂર્પણખાને કારણે રામાયણની કથામાં વળાંક આવે છે.
એવું કહેવાય છે કે શૂર્પણખાને કારણે જ રામ-રાવણ યુદ્ધ થયું. શૂર્પણખા શ્રી રામ સાથે વિવાહ કરવા માગતી હતી, પણ એની ઈચ્છાનો અસ્વીકાર થતા એ સીતાજી પર હુમલો કરવાની કોશિશ કરે છે. આ જોઈ ક્રોધિત થએલા લક્ષ્મણ શૂર્પણખાના નાક-કાન કાપી લે છે. વ્યથિત થયેલી શૂર્પણખા રાવણ પાસે જઈ સીતાનું અપહરણ કરવા એને ઉશ્કેરે છે. આ ઉશ્કેરણીને પગલે જ રામ- રાવણ યુદ્ધ થાય છે.

આ રોલ માટે એક સમયની ટોપ હીરોઈન પ્રિયંકા ચોપડાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. પ્રિયંકા પણ કામ કરવા ઉત્સુક હતી. જોકે, એ અત્યારે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં ખાસ્સી વ્યસ્ત હોવાને કારણે વિનમ્રતા સાથે એણે ના પાડી છે. હવે એ રોલ રકૂલ પ્રીત સિંહને ફાળે આવ્યો છે.

લક્ષ્મણના પાત્ર માટે એક્ટરની પસંદગી કરવી આસાન નહોતું એવી સ્પષ્ટતા ખુદ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કરી છે. લક્ષ્મણના રોલનું મહત્ત્વ અલગ રીતે સમજાવતા છાબડાએ દલીલ કરી હતી કે ‘લક્ષ્મણ મોટાભાઈ શ્રી રામ માટે અત્યંત આદર અને ભક્તિભાવ ધરાવે છે. શ્રી રામની દરેક વાતને પડકાર્યા વિના અનુસરે છે. રામ સાથેનાં દ્રશ્યોમાં લક્ષ્મણે પોતાનું સન્માન જાળવી મોટાભાઈ પર પ્રભુત્વ મેળવવાની કોશિશ જરાય નથી કરવાની. પ્રથમ નજરે રોલ આસાન લાગે, પણ એની બારીકીઓ જાળવવી આસાન નથી.’

આ વાત સમજવા જેવી છે. જોકે, રણબીર કપૂર શ્રી રામ બન્યો હોવાથી એની સામે લક્ષ્મણનો રોલ કરવા અનેક કલાકારોએ ના પાડી હતી એવું યુનિટના જ એક સભ્યએ જણાવ્યું હતું. અંતે નવોદિત એક્ટર રવિ દુબેનું નામ નક્કી થયું હતું.
એ જ રીતે ટીવી, વેબ સિરીઝ અને કેટલીક ફિલ્મોમાં પ્રભાવી સાબિત થયેલા એક્ટર જયદીપ આહલાવતને રાવણના ભાઈ વિભીષણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, કામની વ્યસ્તતાને કારણે શૂટિંગ માટે જરૂરી સમય ન ફાળવી શકે એમ હોવાથી એક્ટરે ના પાડી દીધી છે. હવે બીજા એક્ટરની શોધ ચાલી રહી છે.

કયું પાત્ર કોણ ભજવશે?
‘રામાયણ’ ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળીમાં રિલીઝ થવાની ગણતરી છે. નિયમિત ગતિએ શૂટિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 19 એક્ટરની વરણી અલગ અલગ પાત્રો માટે થઈ ગઈ છે. રામાયણની પારાયણ એટલે કે એની અત્યાર સુધીની કલાકાર પસંદગીની વિગતો આ પ્રમાણે છે.: શ્રી રામનો રોલ રણબીર કપૂર અને સીતા મૈયા તરીકે સાઈ પલ્લવીનજરે પડશે. સાઉથની ત્રણેય ભાષાની ફિલ્મોમાં એક દશકથી કામ કરી રહેલી આ અભિનેત્રી હિન્દી ફિલ્મોના દર્શકો માટે અજાણી છે. અન્ય પાત્ર – કલાકાર આ પ્રમાણે છે.

‘કેજીએફ ચેપ્ટર 1-2’થી હિન્દી ફિલ્મોના શોખીન દર્શકોમાં પણ જાણીતો બનેલો સાઉથ ઈન્ડિયન એક્ટર યશ દર્શકોને રાવણના રોલમાં જોવા મળશે. પવનપુત્ર-રામભક્ત હનુમાન સની દેઓલ છે તો લક્ષ્મણના રોલમાં રવિ દુબે છે. જટાયુના પાત્ર માટે અમિતાભ બચ્ચનની વરણી થઈ છે,

જ્યારે રાજા દશરથના રોલમાં ‘રામાયણ’ સિરિયલના શ્રી રામ અરુણ ગોવિલ જોવા મળશે. શિવજી – મોહિત રૈના (દેવોકા દેવ મહાદેવ), મેઘનાદ-વિક્રાંત મેસી, ભગવાન ઈન્દ્ર-કુણાલ કપૂર, ભરત- આદિનાથ કોઠારે, શૂર્પણખાનો પતિ વિદ્યુતજિવ્હા-વિવેક ઓબેરોય, કુંભકરણ-બોબી દેઓલ, રાજા જનક-અનિલ કપૂર (સંભાવિત), કૈકેયી-લારા દત્તા, શૂર્પણખા-રકૂલ પ્રીત સિંહ, મંદોદરી-કાજલ અગ્રવાલ, કૌશલ્યા-ઈન્દિરા ક્રિષ્ણન અને મંથરા-શિબા ચઢ્ઢા પસંદ થયાં છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : પ્રીતિ ઝિન્ટાની નવી ઈનિંગ્સ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button