સ્ટાર-યાર-કલાકાર : એકમેવ સત્યજીત રેનું અત:થી ઇતિ ‘ઇ.ટી.’નો વિવાદ કેમ ગાજ્યો ?

-સંજય છેલ
સત્યજિત રે, એલિયનના વાર્તાસ્કેચ
‘ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા,
ધૂલ ચહેરે પર થી આઇના સાફ કરતા રહા’
ચવાઇને ચુથ્થો થઈ ગયેલો આ શેર આપણાં સમાજ માટે બરોબર લાગુ પડે છે. આપણને આપણી ગરીબી કે
કમીઓ કોઇ દેખાડે તો ભડકી જઇએ છીએં. એકવાર સંસદમાં ત્યારની હીરોઇન નરગીસે દત્તે નિર્દેશક સત્યજિત
રેની ઇન્ટરનેશનલી વિખ્યાત ફિલ્મો માટે એવી કશીક ફરિયાદ કરેલી કે સત્યજિત રે ભારતની ગરીબી વિદેશમાં વેંચીને દેશની ઇમેજ બગાડે છે.
જોકે પછી ત્યારનાં વડાં પ્રધાન ઇંદિરાજીએ અભિનેત્રી નરગિસને આ નિવેદન પાછું લેવાનું કહેલું. (નવાઇની વાત એ છે કે એ જ નરગિસે ‘મધર ઇંડિયા’માં ગરીબ કિસાન પત્નીની ભૂમિકા ભજવેલી ને એ ઓસ્કાર એવોર્ડમાં પહોંચેલી પ્રથમ ઇંડિયન ફિલ્મ હતી!)
આપણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર : વિચાર ને વિદ્રોહના મજબૂત છતાં મજેદાર શાયર કૈફી આઝમી
આજે સત્યજિત રેની જન્મજયંતિ છે અને એક વાત માનવી જ પડશે કે જગતભરમાં જો કોઇ બે કલાકારો ભારતની ઓળખ હોય તો એમાંના એક સત્યજિત રે ને બીજા રાજ કપૂર. (હાલમાં શાહરુખ અને રજનીકાંત, અમુક દેશોમાં) એમાં બે મત નથી કે સત્યજિત રે એક અદ્ભુત બહુરંગી કલાકાર, લેખક, સંગીતકાર, ચિત્રકાર, વાર્તાકાર હતા અને એમના તોલે કોઇ હજી આવી શક્યું નથી. ભલે સત્યજીત રે એ માત્ર પાથેર પાંચાલી, ચારુલતા, જલસાઘર, ગોપી ગાયેનનાયક, ગણશત્રુ જેવી માત્ર બંગાળીમાં જ અદ્ભુત 36 જેટલી ફિલ્મો બનાવી (હિંદી ફ્લોપ ‘શતરંજ કે ખિલાડી’ સિવાય) પણ એ એક નખશીખ મૌલિક હિંદુસ્તાની કલાકાર હતા.
મૂળ તો સત્યજિત મોશાઈ કલકત્તાની જાહેરાત કંપનીમાં સ્કેચ કલાકાર હતા. ગાયક કિશોરકુમાર એમના દૂરના સગા એવા બિમલ રોય પાસે સત્યજિતને ‘નૌકરી’ ફિલ્મમાં સહાયક તરીકે જોડાવા લઇ ગયેલા, પણ વાત જામી નહોતી. પછી એમણે 1955માં છેક 35 વર્ષની ઉમરે બંગાળી લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પાથેર પાંચાલી‘ નવલકથાથી પ્રેરાઈને પટકથા લખેલી, પણ ફિલ્મ બનાવવાના પૈસા નહોતા.
બંગાળ સરકારે ફિચર ફિલ્મ બનાવવા પૈસા ના આપ્યા ત્યારે ડોક્યુમેંટરી ફિલ્મનાં નામે થોડું ફંડ લઇને થોડા કલાકારો અને જૂજ ટેક્નિશીયનો સાથે માત્ર શનિ-રવિવારે સત્યજિતરેએ ‘પાથેર પાંચાલી’ બનાવેલી, જે ભારતની ઓળખ બની ગઇ. પછી એ જ પશ્ર્ચિમ બંગાળ સરકારની ભલામણથી 1956ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં આ ફિલ્મને મોકલાવેલી. ફિલ્મને સવારે 10 વાગ્યે જોવા માટે રાખવામાં આવી.
જ્યુરીના સભ્યોએ મોડી રાત સુધી પાર્ટીમાં મજા કરી હતી એટલે સવારે ફિલ્મ જોવાનો કોઈનો મૂડ નહોતો, પણ આન્દ્રા વાજા નામના જ્યુરી સભ્ય ફિલ્મને ધ્યાનથી જોતાં હતા. ફિલ્મ પૂરી થયા પછી એમણે જ્યુરીના બીજા સભ્યોને ફ્રેશ થઈને પાછા જોવાનું કહ્યું. બધાં સભ્યો ફિલ્મ જોઈને અવાક બની ગયા અને ફિલ્મને સદીની મહાન ફિલ્મ જાહેર કરી. જાણીતા યુરોપિયન નિર્દેશક આન્દ્રા વાજાને લીધે વિશ્વ સિનેમાને ‘પાથેર પાંચાલી’ ફિલ્મની ભેટ મળી.
‘પાથેર પાંચાલી’ બાદ ‘અપરાજિતા ’ અને ‘અપુર સંસાર’ મળીને અપૂવ ટ્રિલોજીનું સર્જન કર્યું જે વિશ્વની 100 મહાન ફિલ્મોમાં ગણાય છે.
આપણ વાંચો: વહીદાજીએ બંધ કરેલો દરવાજો શબાના માટે ખુલ્યો…
કહેવાય છે કે ‘પાથેર પાંચાલી’ ના નિર્માણ દરમિયાન, રેને નાણાકીય મુશ્કેલીઓ આવેલી અને એમણે પ્રોજેક્ટ છોડી દેવાનું પણ વિચાર્યું. ત્યારે કંજૂસ ગણાતા કિશોરકુમારે ફિલ્મ પૂરી કરવા 5,000રૂ. આપેલા! પછી રેએ ‘ચારુલતા’ ફિલ્મમાં ટાગોરનું ‘આમી ચીની ગો ચીની તોમારે’ ગીત કિશોરદાને ગાવા કહ્યું, પણ કિશોરદા ‘રવીન્દ્ર સંગીત’ના અતિરેકના લાગણીવેડાથી ચીડાતા. સત્યજિત રે ઉર્ફ માણિકદાએ કિશોરકુમારને રવીન્દ્ર સંગીતની રીતસર તાલિમ અપાવી, કિશોરદાએ ટાગોરની મૂળ ધૂન પર રેકોરર્ડિંગ પણ કર્યું પણ એમને મઝા ના આવી.
કિશોરદાએ કહ્યું, ‘માણિકદા, મને મારી મસ્તીભરી સ્ટાઇલમાં એકવાર હજી ગાવા દો!’ રેએ કહ્યું: ‘તમે ભલે ગાવ, પણ મારી મોજ માટે ફિલ્મમાં હું રવીન્દ્ર સંગીતવાળું જ ગીત રાખીશ.’ પછી કિશોરદા ગીત રેકોર્ડ કરતી વખતે મસ્તીમાં નાચતા ઝૂમતા હતા ત્યારે સત્યજીત રે એના હાવભાવ જોઈ ગયા.
ફિલ્મના શૂટિંગ વખતે સત્યજીત રેએ કિશોરદાને ફિલ્મના સેટ પર બોલાવીને કહ્યું : ‘તમે તમારા મૂડમાં ગીત ગાતી વખતે જે હાવભાવ આપતા હતા એવા જ મારા હીરોને કરી દેખાડો.’ અહીં સત્યજિત રેની ફિલ્મનિર્દેશક તરીકેનો એક સિનેમા-‘ઓડિયોવિઝ્યુઅલ’ માધ્યમ પરનો કસબ દેખાય છે કે ગીતનો સાઉંડ ભલે મૂળ રવીન્દ્ર સંગીતનો રાખ્યો, પણ વિઝ્યુઅલ કે દૃશ્યમાં કિશોરદાનો આધુનિક અભિનય!
સત્યજિત રેએ લોકપ્રિય ડિટેક્ટીવ પાત્ર ‘ફેલુદા’ અને વૈજ્ઞાનિક પ્રોફેસર ‘શોંકુ’નું સર્જન કર્યું. એની અનેક વાર્તાઓ લખી, જેણે તમામ ઉંમરના વાચકોને ઘેલા કરેલા.
આપણ વાંચો: હિંદી ફિલ્મ-ગીતોનું નોબેલ પ્રાઇઝ કોને મળી શકે?
સત્યજીત રેને પદ્મશ્રીથી લઇને ભારત રત્ન, ‘ઓસ્કાર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માન મળેલા, પણ ભારત દેશનું સૌથી મોટું સન્માન તો એ છે કે એમની વાર્તાશૈલી કે સિનેમેટિક ટેક્નિકસને માર્ટિન સ્કોર્સેસે, વેસ એન્ડરસન અને ક્રિસ્ટોફર નોલાન જેવા આજના નિર્દેશકો કે અગાઉ અકીરા કુરોસાવા જેવા ઇંટરનેશનલ ફિલ્મકારોને પ્રભાવિત કર્યા છે.
જોકે, એ જ હોલિવૂડે માણિકદા સાથે બહુ મોટો અન્યાય કરેલો. 1960ની આસપાસ એમણે અંગ્રેજી સ્ક્રિપ્ટ લખેલી, જેમાં એક પરગ્રહવાસી (એલિયન) ની વાત હતી, જે અંતરિક્ષમાંથી અવતરીને ભારતનાં ગામડાંમાં લોકોની મદદ કરે છે. સત્યજીત રેએ એલિયન માટે સ્કેચ પણ બનાવલા. મેરી સેટ લિખિત જીવનચરિત્ર ‘પોર્ટ્રેટ ઓફ અ ડિરેક્ટર: સત્યજીત રે ’ મુજબ એ સ્કેચમાં મોટું માથું, કાંટાળા અંગો, પાતળું ધડ ધરાવતો માનવીય એલિયન દેખાય છે.
આ સ્કેચ અને રેની સ્ક્રિપ્ટ,1962ની બંગાળી વાર્તા ‘બંકુબાબુર બંધુ’ પર આધારિત હતી, જે હોલિવૂડ પહોંચી હતી પછી એક વિવાદ એ જાગ્યો હતો કે એમાંથી ઉઠાંતરી કરીન વિખ્યાત ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગે ‘ઇ.ટી ધ એક્સ્ટ્રા-ટેરેસ્ટ્રીયલ’ (1982) ફિલ્મ બનાવી હતી. સત્યજિત રેએ પોતે 1983ના ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘જો મારી સ્ક્રિપ્ટ- ‘ધ એલિયન’ હોલિવૂડ પાસે ના હોત તો સ્પીલબર્ગની ફિલ્મ ઇ.ટી. શક્ય જ ના હોત.’
જોકે સ્પીલબર્ગે આવી ઉઠાંતરીનો ઇનકાર કર્યો હતો ને દાવો કરેલો કે સત્યજિતની સ્ક્રિપ્ટ હોલીવૂડમાં ફરતી હતી ત્યારે તો એ સ્કૂલમાં હતા, પણ એ વાત તો પાક્કી છે કે આપણાં ભારતીય ફિલ્મસર્જક સત્યજીત રેના સ્કેચ, ‘ટ્રાવેલ વેલ્સ વિથ ધ એલિયન’ જેવી વિગતોએ સ્પીલબર્ગને પરોક્ષ રીતે અચૂક પ્રભાવિત કર્યા જ હશે.
(હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ‘ટ્રાવેલ્સ વિથ ધ એલિયન’ માં વાર્તાસ્કેચના સંદર્ભો મોજૂદ છે.)