મેટિની

ફિલ્મનામા : હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા લોગો કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા…

નરેશ શાહ

સુપરસ્ટાર રાજેશ ખન્ના પર આલેખાયેલું આ પુસ્તક પ્રગટ થતાંની સાથે જ માર્કેટમાંથી ખરેખર કોઈ કાવતરાંનું ભોગ બનીને ગાયબ થઈ ગયું તે પછી…

અનિતા અડવાણી – રાજેશ ખન્ના , સુપરસ્ટાર રાજેશ ખન્ના અને હૈદરાબાદના નવમા નિઝામ… આમ તો આ બે પર્સનાલિટીનું કોઈ કનેકશન બનતું નથી, કારણ કે અંગતજનોમાં ‘કાકા’ તરીકે જાણીતા રાજેશ ખન્નાનું અવસાન થયાને પણ આજે તેરમું વરસ ચાલી રહ્યું છે છતાં આ બન્નેને જોડતી એક રેખા 29 ડિસેમ્બર, 2024ના રોજ ખેંચાઈ હતી.

એ દિવસે હૈદરાબાદના નવમા નિઝામે રાજેશ ખન્ના પર લખાયેલાં એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. કમભાગ્યે, એ પુસ્તક આજે અપ્રાપ્ય છે- માર્કેટમાં મળતું નથી. એ પુસ્તકનાં લેખિકા અનિતા અડવાણીનો દાવો છે કે રાજેશ ખન્નાના લાખો ચાહકો સુધી આ પુસ્તક ન પહોંચે એ માટે અમુક ચોક્કસ લોકોએ તેને સગેવગે કરાવી દીધું છે!

આ અનિતા અડવાણીનું નામ તમને કદાચ અજાણ્યું લાગતું હોય તો જાણી લો કે એ ખુદ પોતાને રાજેશ ખન્નાના ‘સેરોગેટ પત્ની’ ગણાવે છે. જો કે કાકા સાથેના સહવાસનાં વરસો દરમિયાનની વાતો કરતું આ પુસ્તક ખરેખર તો ‘હોટકેક’ ગણાવું જોઈએ અને એ સતત માર્કેટમાં ઉપલબ્ધ રહેવું જોઈએ, પણ અનિતા અડવાણીએ લખેલા પુસ્તકના કિસ્સામાં ઊંધું થયું છે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?

એમણે તો પુસ્તકના પબ્લિશર પર પણ કોર્ટ કેસ કર્યો છે, પરંતુ આ જાણ્યા પછી વિચાર આવી જાય કે પત્ની યા કહેવાતા લાઈફ પાર્ટનર થકી જે તે સેલિબ્રિટીને ફરી ચર્ચાની એરણે ચઢાવવાની જાણે ફેશન ચાલી રહી છે આજકાલ.

‘ફિલ્મનામા’માં જ તમે અભિનેતા ઓમ પુરીનાં પ્રથમ પત્ની રાઈટર – ડિરેકટર (અભિનેતા અનુ કપૂરના બહેન) સીમા કપૂરે લખેલી આત્મકથા વિશે વાચી ગયા છો ત્યારે ફરી રિઅલ સુપરસ્ટારનું બિરૂદ પામેલ રાજેશ ખન્નાની આગામી 11 જુલાઈ, 2025માં તેરમી પુણ્યતિથિ આવશે, પણ એ પહેલાં જ ‘કાકા’ની અંગત લાઈફ ફરી છાપરે ચઢી છે.

બેશક, તેનું શ્રેય રાજેશ ખન્નાની હયાતિના છેલ્લાં દસ વરસ એમની સાથે પસાર કરવાનો દાવો કરતાં (બે-ચાર ફિલ્મ પૂરતાં અભિનેત્રી) અનિતા અડવાણીને હિસ્સે જ આવ્યું છે. ‘યુટયૂબ’ પર તમે સર્ચ કરશો તો અનિતા અડવાણીએ આપેલાં લેટેસ્ટ ઈન્ટરવ્યૂ મળશે, જેમાં એણે ફરી એકવાર રોદણાં રોયાં છે કે, એક લોબી યા સિલેકટેડ લોકોના ષડ્યંત્રનો ફરી એકવાર પોતે શિકાર બની છે!

આપણ વાંચો: ફિલ્મો થકી ફુગાવાનો અંદાજ આવે ખરો?!

અનિતા અડવાણીના રોદણાં જો કે આ વખતે ખોટાં હોય એવું લાગતું નથી. કારણ પણ જાણવા જેવું છે, પરંતુ એ પહેલાં મેમરીને રિફ્રેશ કરી લઈએ કે, રાજેશ ખન્ના સાથેના મતભેદ – મનભેદ પછી કાકા અને ડિમ્પલજી અલગ થઈ ગયાં હતાં, પરંતુ બન્નેએ ડિવોર્સ લીધા નહોતા.

રાજેશ ખન્ના સાથે એ પછી પણ ડિમ્પલ અને બન્ને દીકરીઓના (જરૂરિયાત પૂરતાં) સંબંધો તો હતા જ, કાકા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડતાં ત્યારે પણ ડિમ્પલ કાપડિયા એમની પ્રચાર રેલીમાં રહેતાં, તેવા એકથી વધુ પ્રસંગ છે.

આ દરમિયાન જ અથવા તો કહો કે 2001-02માં રાજેશ ખન્ના અનિતા અડવાણીના સંપર્કમાં આવ્યા અને પછી કાકા (છેલ્લાં દિવસોમાં) હોસ્પિટલાઈઝ થયા ત્યાં સુધી અનિતા અડવાણી એમની સાથે જ લાઈફ પાર્ટનર (સેરોગેટ – વાઈફ એવો શબ્દ અનિતા વાપરે છે!) તરીકે હતા તેવો અનિતા મેડમનો દાવો છે.

મુંબઈના બાંદરા પરામાં સુપ્રસિદ્ધ ‘મરિના ગેસ્ટ હાઉસ’ છે, જ્યાં મોટા મોટા સ્ટાર સ્ટ્રગલના દિવસોમાં રહ્યા હતા. આ ‘મરિના ગેસ્ટહાઉસ’ના માલકણ અનિતા અડવાણીના માસી થતાં હતાં. અનિતાના જ શબ્દોમાં કહીએ તો, ‘કાકાના અંતિમ દિવસોમાં ડિમ્પલ કાપડિયાએ કાકાનો કબજો લઈ લીધો અને હું જાણે છોતરું હોય તેમ મને ફગાવી દીધી- મારો કાંકરો કાઢી નાખ્યો!’

આપણ વાંચો: ‘પારસમણિ’ના ગીત આજે પણ સ્મરણમાં છે…

18 જુલાઈ, 2012ના રાજેશ ખન્નાનો સ્વર્ગવાસ થયો એ પછી તો ડિમ્પલ – અનિતા વચ્ચે ઘણું બન્યું. કોર્ટ કેસ ય થયા, જેમાંનો એકાદ 2025માં ચાલી રહ્યો છે. અનિતા અડવાણીનું (રાજેશ ખન્નાના મૃત્યુ પછી) કહેવાનું થતું હતું કે રાજેશ ખન્ના ઈચ્છતાં હતા કે એમનો ‘આશીર્વાદ’ બંગલાને ભવિષ્યમાં મ્યુઝિયમ બનાવીને જાળવો,

જેથી લોકો આવીને હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટારની યાદોને જોઈ – અનુભવી શકે. અનિતા અડવાણીની (રાજેશ ખન્નાની અંતિમ ઈચ્છાની) આ વાત સાચી હોય તો પણ સચ્ચાઈ એ છે કે ડિમ્પલ અને જમાઈ અક્ષયકુમારે ‘આશીર્વાદ’ બંગલો વેચી નાખ્યો છે.

2025માં તો એ જમીનદોસ્ત પણ થઈ ગયો છે, પરંતુ 2024માં જ, રાજેશ ખન્નાના નિધનના તેરમા વરસે અનિતા અડવાણીએ રાજેશ ખન્ના અને પોતાના સંબંધ – સંપર્ક – સમયને આલેખતું પુસ્તક લખ્યું, જેનું નામ છે: ‘ધ એંડિયરિંગલી વિક્ડ વેઝ ઓફ રાજેશ ખન્ના.’

ચકિત કરતી વાત તો એ છે કે, આ પુસ્તક આવ્યું એ સાથે જ તેની સાથે એવી રમત થઈ ગઈ કે એ ખરેખર કોઈ ખરીદી જ ન શકે. એ પુસ્તક ક્યાંય ઉપલબ્ધ નથી. ‘એમેઝોન ’ પર એ અનઅવેલેબલ છે એટલે પુસ્તકમાં શું લખાયું છે, તેનું અનુમાન થઈ શકતું નથી.

હા, પુસ્તક આવ્યા પછી અને ષડયંત્રની જેમ તે ગૂમ થઈ ગયા પછી અનિતા અડવાણીએ આપેલી મુલાકાતોથી એટલું જાણવા મળે છે કે, પુસ્તકમાં આપેલા બારકોડ થકી વાચનાર રાજેશ ખન્નાનો અવાજ સાંભળી શકે છે… અનિતા અડવાણી તો એક ઈન્ટરવ્યૂમાં કહી ચૂકયા છે કે, હું આ પુસ્તક ફરી છાપવાની છું અને તેનો હિન્દી અનુવાદ પણ કરાવવાની છું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button