મેટિની

સ્ટાર-યાર-કલાકાર: દેશભક્ત નાઝીર હુસૈન: ‘ટિપિકલ બાપ’ની બહાદુરીની વાત…

-સંજય છેલ

નાઝીર હુસૈનની પહેલી ભોજપુરી ફિલ્મ

અમુક લોકો જન્મજાત જ એક ચોકકસ પ્રકારના ચહેરા અને હાવભાવવાળા હોય. 80ના દાયકાની હીરોઇન અનીતા રાજના પિતા જગદીશ રાજે 400 જેટલી ફિલ્મમાં પોલીસ ઈન્સપેક્ટરનો જ રોલ સતત ભજવેલો. એ જગદીશ રાજ માટે ફિલ્મ લાઇનમાં એક જોક ફેમસ હતો કે જગદીશ રાજ જન્મેલા ત્યારે ડોક્ટરે મા – બાપને કહેલું:

‘મુબારક હો આપ કે વહાં ઇન્સપેક્ટર પૈદા હુઆ હૈ!’

કારણ કે 9 મહિનાનો બાળ જગદીશ પોલીસની વર્દીમાં જ જન્મેલો…આ તો એક જોક છે. જોકે, અમુક લોકો જન્મે જ વૃદ્ધ પ્રૌઢ કે મેચ્યોર જ લાગે. બલરાજ સહાની અદ્ભુત અભિનેતા, પણ રોમેંટિક કે એક્શન કે કોમેડીમાં ના જ જામે. બીજવર કે પ્રોફેસર કે પોલીસ, વકીલ, ગરીબ મજૂર કે વૃદ્ધ બાપ તરીકે જ જામે. ‘શોલે’ કે ‘નમકહરામ’ જેવી ફિલ્મના કલાકાર એ.કે.હંગલ જુવાન હતા ત્યારથી બાપના કે પછી ગરીબ ટીચરના રોલ જ કરે. એમને જુવાન કહી જ શકાય નહીં. એ જ રીતે લલિતા પવાર ને લુચ્ચી સાસુ કે મંથરા તરીકે જ જોવામાં મજા આવે. (રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં ‘મિસિઝ ડિસૂઝા’નાં અપવાદને બાદ કરતાં.) એ જ રીતે અનુપમ ખેરને 28મે વરસે ‘સારાંશ’ ફિલ્મ મળેલી, કારણ કે એમનો ચહેરો જ બાપછાપ! આવાં ટિપિકલ પાત્રોનાં કાસ્ટિંગ માટે ફિલ્મી ભાષામાં ‘ટાઇપકાસ્ટ’ કહેવાય છે.

આજે આવા ટાઇપ કાસ્ટ પણ અદ્ભુત અદાકારની વાત કરવી છે.

એક બુઢ્ઢો માણસ શાલ ઓઢીને મોટા બંગલા પર દાદરો ઊતરતા ઊતરતા દીકરીના છાનાં પ્રેમપ્રકરણના કે દીકરીના ભાગી જવાના જેવા કોઇ આઘાતના સમાચાર સાંભળે કે તરત જ કાયમ એને દાદરાના પગથિયા પર હાર્ટ એટેક આવે જ આવે ને પછી દુ:ખતી છાતી પર હાથ મૂકીને ઢળી પડે કે ગડથોલિયા ખાઇને ઊથલી પડે! એ બૂઢા બાપને એવા સીનમાં લોકોએ એટલી વાર જોયા કે એમને પગથિયા ચડતાં જોઇને જ લોકો તાળી પાડવા માંડતાં : ‘જો જો હોં, હમણાં આ તો ગયો!’
એ ચરિત્ર અભિનેતા કોણ? એ ભાવુક ચેહરાવાળો, હંમેશાં દુ:ખી બાપનો રોલ કરનાર ચરિત્ર અભિનેતા હતા કલાકાર ‘નાઝીર હુસૈન’! આ નાઝીર હુસૈન એટલે આમિરના કાકા અને ‘હમ કિસી સે કમ નહિ’ જેવી ફિલ્મના ડાયરેક્ટર નહીં. પણ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા નાઝીર હુસૈન.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : એક અલગારી સર્જક સહજ સંવાદનો છલકાતો સાગર સરહદી

હમણાં 15 મેના રોજ એમનો જન્મદિવસ હતો. નાઝીર હુસૈને ફિલ્મોમાં પોતાનાં પાત્રો દ્વારા અમીટ છાપ છોડી, પણ એ ઉપરાંત એક નવી વાત એ કરવી છે કે નાઝીર માત્ર એક અચ્છા અભિનેતા જ નહીં, પણ એક સારા લેખક પણ હતા. આ ઉપરાંત એ એક સાચા દેશભક્ત પણ હતા. ઉત્તર પ્રદેશના ઉસિયા ગામમાં જન્મેલા નાઝીર હુસૈનના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા. પિતાની ઓળખાણથી નાઝીરને પણ રેલવેમાં નોકરી મળી. પણ નાઝીરને નોકરીમાં રસ નહોતો એટલે નોકરી છોડી એ બ્રિટિશ આર્મીમાં જોડાયા. આ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.

અંગ્રેજો ભારતીય સૈનિકોનો યુદ્ધમાં ઉપયોગ કરતા. એ વખતે નાઝીર હુસૈન મલેશિયા અને સિંગાપોરમાં પોસ્ટેડ હતા. ભારતીય સૈનિકોમાં અંગ્રેજોના નિર્દયી વર્તન પ્રત્યે અસંતોષ વધવા લાગ્યો અને ઘણા ભારતીય સૈનિકોએ અંગ્રેજોનો વિરોધ કર્યો. નાઝીર હુસૈન પણ એમાંનાં એક હતા. અંગ્રેજોએ નાઝીર હુસૈન અને એમનાં સાથીઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. જોકે, એ પછી નાઝીર સહિત બધાને મહિનાઓ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. આજે કોઇ વિચારી શકે કે ક્રૂર અંગ્રેજ સરકાર સામે ફિલ્મોનો આ ‘લાચાર બાપ’ ક્યારેક બહાદુરીથી લડી શકયો હશે?

નાઝીર હુસૈન ભારત પાછા ફર્યા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ‘આઝાદ હિંદ ફોજ’ માં જોડાયા. એમને વાંચન અને લેખનનો શોખ હતો. નેતાજીએ એમની પ્રતિભાને ઓળખી અને ‘આઝાદ હિંદ ફોજ’ના પ્રચાર માટે લેખનની જવાબદારી નાઝીર હુસૈન સાહેબને સોંપી હતી.

એકવાર નાઝીર હુસૈન અને ‘આઝાદ હિંદ ફોજ’ના બીજા સાથીઓએ અંગ્રેજોનો વિરોધ કર્યો ત્યારે પણ એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને નાઝીરને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. નાઝીર હુસૈનને લાલ કિલ્લામાં ફાંસી આપવાના હતા, પણ નાઝીર હુસૈનના મિત્રોએ એમને અંગ્રેજોને છેતરીને બચાવી લીધા. સજામાંથી બચી ગયા પછી પણ નાઝીરે દેશ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. દેશને આઝાદી મળી પછી નાઝીર હુસૈન પાસે કોઈ કામ નહોતું. એમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : એક થા કૈફી… વિચાર ને વિદ્રોહનો શાયર!

એમના કામથી પ્રભાવિત થઈને બી.એન.સરકારે એમને ‘કલકત્તા ‘ન્યુ થિએટર’માં કામ માટે બોલાવ્યા. એ નાટકો લખતા અને સાથે સાથે અભિનય પણ કરતા હતા. એક વાર બિમલ રોય નાઝીરનું એક નાટક જોઈ બહુ પ્રભાવિત થયા અને નાઝીર હુસૈનને 1950માં સુભાષ ચંદ્ર બોઝ પર બનેલી ફિલ્મ ‘પહલા આદમી’ માટે વાર્તા લખવાનું કામ સોંપ્યું. ત્યાર પછી નાઝીરએ ‘દો બીઘા જમીન’, ‘દેવદાસ’, ‘નયા દૌર’ જેવી સામાજિક ફિલ્મોમાં કામ કર્યું. 1955માં નાઝીરે દેવ આનંદ સાથે ‘મુનિમજી’ ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું અને એ ફિલ્મની પટકથા ને ડાયલોગ પણ એમણે લખ્યા હતા. દેવ આનંદની ‘પેઈંગ ગેસ્ટ’ની સ્ટોરી ને ડાયલોગ પણ નાઝીર હુસૈને લખ્યા છે. નાઝીર હુસૈને લગભગ 500 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટેભાગે એ ફિલ્મોમાં માત્ર સહાયક ભૂમિકાઓમાં જ દેખાયા છે. કેટલીક ફિલ્મોમાં એ પિતા તો કેટલીકમાં કાકા અને કેટલીકમાં પોલીસમેનની ભૂમિકા ભજવતા જોવા મળે છે.

આ બધા વચ્ચે કોઇને આજે યાદ પણ નહીં હોય કે નાઝીર હુસૈને એક ગુજરાતી ફિલ્મ ‘ભાભી’માં મુખ્ય ભૂમિકામાં, ઓલમોસ્ટ હીરો કહી શકાય એવી રીતે કામ પણ કરેલું… !

નાઝીર ભોજપુરી ભાષા પણ ખૂબ સારી રીતે બોલતા હતા. જ્યારે એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને મળ્યા ત્યારે એમણે નાઝીરને ભોજપુરી ફિલ્મ બનાવવાની સલાહ આપી. ત્યાર પછી 1963માં નાઝીર હુસૈને પહેલી ભોજપુરી ફિલ્મ ‘ગંગા મૈયા તોહે પિયારી ચડાઈબો’ બનાવી. આમ અહીંથી ભોજપુરી સિનેમાની શરૂઆત થઈ. નાઝીરસાહેબે અનેક સફળ ભોજપુરી ફિલ્મો બનાવી, અભિનય કર્યો , જેના કારણે એ ‘ભોજપુરી સિનેમાના પિતામહ ’ તરીકે જાણીતા થયા. જો કે, દુ:ખની વાત છે કે 44 વર્ષના કરિયરમાં 500 હિન્દી ફિલ્મો કરનાર અને ભોજપુરી સિનેમા શરૂ કરનાર નાઝીર હુસૈનને ક્યારેય કોઈ સન્માન આપવામાં આવ્યું નહીં.

અમુક ચહેરા ઓડિયન્સ તરીકે પાંચ પાંચ દાયકાઓ સુધી લોકોનાં મનમાં અમીટ છાપ મૂકી જાય છે, પણ ઇતિહાસનાં પૃષ્ઠો પરથી સાવ અદ્રશ્ય રહે છે.

ચાલતી ફિલ્મો, બોકસ ઓફિસની સફળ ફિલ્મો, સ્ટાર હીરોહીરોઇનો અને ચાલુ ગોસિપો પર તો બધાં વાત કરે છે, પણ સિને જગતનાં અંધાર ખૂણાંમાં છુપાયેલા આવા અણમોલ રત્નો વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ એટલે જ તો સિનેમાને ‘ના સમજાય, ના કળાય’ એવી માયાવી દુનિયા કહેવાય ગણાય છે.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : એકમેવ સત્યજીત રેનું અત:થી ઇતિ ‘ઇ.ટી.’નો વિવાદ કેમ ગાજ્યો ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button