ફિલ્મનામા : અર્ધસત્ય’ પછી ઓમ પુરી ને અમિતાભ બચ્ચનનું પૂર્ણ સત્ય!

-નરેશ શાહ
એ એક ચકિત કરી દે તેવી ઘટના હતી કે લાગલગાટ બે વરસ સુધી એક જ અભિનેતાને અભિનય માટે નેશનલ એવોર્ડ મળે. એ અભિનેતા હતા ઓમ પુરી. એમને કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે શ્યામ બેનેગલની પ્રથમ ફિલ્મ ‘આરોહણ’ (1982)માં હરિ મંડલ નામના દલિત કિસાનનું પાત્ર ભજવવા માટે એમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ‘આરોહણ’ ફિલ્મથી ત્યારે દેશનો મોટો ભાગ તદ્દન અજાણ હતો, કારણ કે એ ફિલ્મ માત્ર બંગાળ અને બિહારના અમુક પ્રદેશ સિવાય ક્યાંય થિયેટરનું મોઢું જોવા પામી નહોતી (અત્યારે એ યૂટયૂબ પર ઉપલબ્ધ છે.)
એ પછીના જ વરસે ડિરેક્ટર ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધસત્ય’ (1983) રિલીઝ થઈ અને કહેવાતી સમાંતર સિનેમા અને અનંત વેલણકર બનતાં ઓમપુરીએ બધાને સ્તબ્ધ કરી દીધા હતા. ‘અર્ધસત્ય’માં જોકે ઓમ પુરી સાથે અમરીશ પુરી, સ્મિતા પાટિલ અને સદાશિવ અમરાપુરકર પણ હતા. સદાશિવની તો આ પ્રથમ હિન્દી ફિલ્મ, પણ ઓમ પુરીના અભિનયે બધાને હલબલાવી નાખ્યા હતા. આ પાત્ર માટે એમને ફરી નેશનલ એવોર્ડ મળ્યો હતો. 19 ઓગસ્ટ, 1983ના દિવસે રિલીઝ થયેલી એકસો ત્રીસ મિનિટ લાંબી અને (માત્ર) પંદર લાખના બજેટમાં બનેલી ‘અર્ધસત્ય’ (યૂટયૂબ પર જોવા મળશે) મુંબઈમાં જ બાવીસ અઠવાડિયા ચાલી હતી.
અને આ દરમિયાન જ કરોડો ભારતીયનો જીવ પડિકે બાંધી દેનારા અમિતાભ બચ્ચનના અકસ્માત પછી કમ્પલીટ થયેલી ‘કૂલી’ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ, એ પછી પણ ‘અર્ધસત્ય’ રમરમાટ ચાલતી હતી. ‘અર્ધસત્ય’ જ કદાચ, એવી પ્રથમ ફિલ્મ હતી કે જેણે સાબિત કર્યું કે આર્ટ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી શકે છે. ઓમ પુરીની તો એ પછી દુકાન ખુલી ગઈ. ઓમ પુરી અને ગોવિંદ નિહલાનીની સફળ જોડીએ એ પછી ટોટલ નવથી વધુ ફિલ્મો (આક્રોશ, આરોહણ, અર્ધસત્ય, દ્રોહકાલ, હજાર ચોરાસી કી મા વગેરે…) સાથે કરી, પણ બહુ ઓછાં લોકો જાણે છે કે ‘અર્ધસત્ય’ના પોલીસ અધિકારી અનંત વેલણકરના પાત્ર માટે ગોવિંદ નિહલાનીની પ્રથમ પસંદગી ઓમ પુરી નહોતા !
ગોવિંદ તો ‘અર્ધસત્ય’ની મુખ્ય ભૂમિકામાં અમિતાભ બચ્ચનને લેવા માગતા હતા. એ માટે બચ્ચન સાહેબને નરેશન પણ આપવામાં આવ્યું હતું. બચ્ચનદાદાને સ્ક્રિપ્ટ પસંદ આવી હતી, પરંતુ એ સમયે બચ્ચનદાદા માટે એ ‘નાની ફિલ્મ’ હતી. અમિતાભ બચ્ચનના સ્ટારડમ વખતની ફિલ્મોને તપાસો તો તરત ખ્યાલ આવશે કે મીલી, આલાપ, જુર્માના, બેમિસાલ જેવી બજેટમાં નાની કહી શકાય તેવી ફિલ્મો બીગ-બીએ સિલેકટેડ ડિરેક્ટરો સાથે જ કરી છે. આ કારણે જ અમિતાભ બચ્ચન અને ‘અર્ધસત્ય’ નો મેળ પડ્યો નહીં અને એ પાત્ર ઓમ પુરીના ફાળે આવ્યું. બેશક, ‘અર્ધસત્ય’ની સફળતા પછી એકવાર ઓમ પુરી- અમિતાભ બચ્ચનનો ભેટો થઈ ગયો ત્યારે બચ્ચન સરે નિખાલસપણે સ્વીકારેલું કે, અનંત વેલણકરના પાત્રને સૌથી વધુ ન્યાય તમે જ આપી શક્યા છો. હું પણ એ ન કરી શકત!
ખેર, પ્રશંસા તો ઓમ પુરીની થઈ પરંતુ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ગોવિંદ નિહલાનીની ઈચ્છા તો અધૂરી રહી ગઈ હતી. લગભગ એક દશકા પછી એમણે આશિષ વિદ્યાર્થી-ઓમ પુરી સાથે ‘દ્રોહકાલ’ (1994) બનાવી. એ વખતે પણ ગોવિંદ નિહલાનીએ ‘દ્રોહકાલ’ માટે બચ્ચનસરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બાત બની નહીં. જો કે બચ્ચન માટે પણ એ સમય ઓટનો હતો. એમની ફિલ્મો બહુ ચાલતી નહોતી. (ગંગા જમુના સરસ્વતી 1988થી તૂફાન, જાદુગર, મૈં આઝાદ હું, અગ્નિપથ, અજુબા, ઈન્દ્રજીત, અકેલા, ઈન્સાનિયત-1994 સુધીના) આ અરસામાં આશ્વાસન લેવા પૂરતી બે ફિલ્મો ‘આજ કા અર્જુન’ તેમ જ ‘હમ’ ફિલ્મ જ બચ્ચનની શાનને ટકાવી રાખે તેવી હતી.
1994માં ‘દ્રોહકાલ’ ફિલ્મ રિલીઝ થઈ તેમાં અમિતાભ માટેનું ડીસીપી અજયસિંહનું પાત્ર અગેઈન, ઓમ પુરીએ ભજવ્યું હતું. યાદ રહે કે 1994ના અરસામાં જ લાગલગાટ નિષ્ફળ ફિલ્મો આપ્યા પછી અમિતાભ બચ્ચને પાંચ વરસનો બ્રેક લીધો હતો. 1999માં એમણે કમ બેક કર્યું ચાર ચાર ફલોપ (સૂર્યવંશમ, હિન્દુસ્તાન કી કસમ, કોહરામ અને લાલ બાદશાહ) ફિલ્મોથી.
અર્થ એ થયો કે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ગોવિંદ નિહલાનીની આશા અધૂરી જ હતી અને એ ‘અર્ધસત્ય’ના લગભગ બે દશકા પછી પૂરી થઈ. 2004માં આવેલી ‘દેવ’ ફિલ્મમાં પોલીસ અધિકારી દેવ પ્રતાપસિંહનું પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું.
‘દેવ’ ફિલ્મ સુપરહિટ નહોતી, થોટ પ્રોવિકિંગ હતી. રસપ્રદ વાત તો એ છે કે ‘અર્ધસત્ય’ અને ‘દ્રોહકાલ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ના પાડેલા પાત્ર ઓમ પુરીએ ભજવ્યાં હતાં. ‘દેવ’ ફિલ્મમાં એ જ ઓમ પુરીએ અમિતાભ બચ્ચન સાથે અભિનયની જુગલબંધી કરીને આપણને પ્રસન્ન કરી દીધેલા!
આપણ વાંચો : ફિલ્મનામા: પત્નીએ લખેલી બાયોગ્રાફીથી ઓમ પુરી અપસેટ હતા?