ક્લેપ એન્ડ કટ..! : દોસંજની ફિલ્મ ‘બોર્ડર’ પાર કરી શકશે?

-સિદ્ધાર્થ છાયા
હાલમાં સિંગર અને ‘એક્ટર’ દિલજિત દોસંજની ફિલ્મ ‘સરદારજી થ્રી’નું ટ્રેલર રિલીઝ થયું. એ સાથે જ હોબાળો મચી ગયો. જોકે, આ હોબાળાના મૂળ બે મહિના પહેલાં જ રોપાઈ ગયા હતા. બન્યું એવું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આ દરમિયાન સરદારજીની હીરોઈન, જે પાકિસ્તાની એક્ટર હાનિયા આમિર છે એણે શૂટિંગ પડતું મુકીને પોતાના દેશ પલાયન કરી દીધું.
ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ‘અચ્છા, તો આ ફિલ્મની હીરોઈન તો પાકિસ્તાની છે’! પરંતુ ફિલ્મ તો ઓલમોસ્ટ બની ગઈ હતી. એટલે હાનિયાની જગ્યાએ કોઈ બીજીને તો લઇ શકાય એમ ન હતી. આથી દિલજિતની આ ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય એવો નિર્ણય લેવામાં આવ્યો.
જોકે, વાત અહીંથી અટકી નથી. બે દિવસ પહેલાં મીકા સિંઘે પોતાની ‘ઈન્સ્ટા’ સ્ટોરીમાં ગોળગોળ ભાષામાં દિલજિતની ટીકા કરી છે અને ‘દેશ પહેલાં’ એવો સંદેશ આપ્યો છે. આટલું ઓછું હોય એમ ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઈમ્પ્લોઈઝ’ દ્વારા ‘બોર્ડર 2’ના મેકર્સને એક પત્ર લખવામાં આવ્યો છે કે ફેડરેશન આ ફિલ્મમાં દિલજિતનું કાસ્ટિંગ થયું છે એ બરાબર નથી. ફેડરેશને પહેલેથી જ દિલજિતનો બોયકોટ કરવાનો નિર્દેશ ફિલ્મ ઉદ્યોગને આપી દીધો હતો.
આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : રૌતેલા રડશે ને સોનુ સૂદ વ્યાજ ભરશે?
હવે આ ‘બોર્ડર 2’નું શૂટિંગ ક્યાં સુધી પહોંચ્યું છે એના કોઈ ચોક્કસ સમાચાર નથી, પણ એ ફિલ્મ જો દિલજિતને બદલી જ ન શકાય એવા પોઈન્ટ ઓફ નો રિટર્ન પર પહોંચી ગઈ હોય તો શું દેશભક્તિની આ ફિલ્મનો પણ વિરોધ કરવામાં આવશે?!
ખરેખર આગ હતી કે ફક્ત ધુમાડો?
ત્રણ દિવસ અગાઉ ફિલ્મ સીટીમાં મેગા સિરિયલ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગી અને સાત વાગ્યે એપિસોડનું શૂટિંગ શરૂ થવાનું હતું. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગને તો બુઝાવી દીધી, પરંતુ હવે આ આગના વિચિત્ર ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
વર્કર્સ એસોસિએશનનો દાવો છે કે આ પ્રકારે જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે જે-તે સિરિયલના નિર્માતાઓ થોડાક પૈસા બચાવવા માટે ફાયર સેફ્ટીના પૂરતાં પગલાં લેતા નથી પરિણામે જે નાના કર્મચારીઓ સેટ ઉપર કામ કરે છે એમના જીવ કાયમ જોખમમાં મુકાય છે.
આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!`લાલ પરી’ પણ ચોરાયેલી છે?સિદ્ધાર્થ છાયા
આ એસોસિએશનનો તો એવો પણ દાવો છે કે ફિલ્મ સિટીમાં જ કેમ દર બે-ત્રણ મહિને સેટ પર આગની ઘટનાઓ બનવા લાગી છે? ક્યાંક સિરિયલોના પ્રોડ્યુસર્સ વીમાના પૈસા મેળવવા માટે જાતે જ તો…
એસોસિએશને રાજ્ય સરકારને ‘અનુપમા’ના સેટ પર લાગેલી આગની વિશેષરૂપે તપાસ કરવા કહ્યું છે, જેથી જો આ આગનાં કારણો અકુદરતી હોય તો આગળથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય.
સિંગલ સ્ક્રીન ઝમીન પર?
ગયા શુક્રવારે આપણે આમિર ખાને પોતાની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને હીટ કરવા માટે કેવી નવી રણનીતિ અપનાવી છે તેના વિશે વાત કરી હતી. હવે આમિરની આ જ રણનીતિ એના ગળામાં ફાંસાની જેમ અટવાઈ ગઈ છે. શરૂઆતમાં 1200-1700 સ્ક્રીન્સમાં ફિલ્મ રિલીઝ થઇ હતી.
આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ: …તો આવા છે ‘હાઉસફૂલ ફાઈવ’ના બંને એન્ડ
રણનીતિ એવી હતી કે જો પહેલા દિવસે સારો રિસ્પોન્સ મળે તો પછી ધીરેધીરે સ્ક્રીન્સની સંખ્યા વધારવી. બન્યું પણ એવું. શુક્રવાર કરતાં શનિવારે ફિલ્મને બમ્પર દર્શકો મળ્યા. એટલે આમિરની ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સ ‘પીવીઆર’ દ્વારા સ્ક્રીન્સ વધારીને 3000 કરી દેવામાં આવ્યા.
‘પીવીઆરે’ જે સ્ક્રીન્સ વધાર્યા તે મોટેભાગે મલ્ટિપ્લેક્સમાં જ વધાર્યા આથી સિંગલ સ્ક્રિન્સ જે આમિરની ફિલ્મ દેખાડવા માટે આતુર હતા એ લોકો ફિલ્મ પોતાને ત્યાં આવે એની રાહ જ જોતાં રહી ગયા. પશ્ર્ચિમ બંગાળના એક એક્ઝિબીટરે પોતાની નિરાશા ઠાલવતાં કહ્યું કે તે આ ફિલ્મ પોતાના થિયેટરમાં દેખાડવા માટે અતિશય ઉત્સાહિત હતો, અને એના ડિસ્ટ્રિબ્યુટરે તેણે પોસ્ટર વગેરે મોકલી પણ આપ્યાં હતાં, પરંતુ છેલ્લી ઘડીએ એને ફોન કરીને કહી દીધું કે ‘સોરી, ફિલ્મ નહીં મોકલી શકું!’
આ રીતે સિંગલ સ્ક્રીનને ટાળવાની વાતમાં જયપુરનું આઇકોનિક ‘રાજ મંદિર’ સિનેમા પણ અડફેટમાં આવી ગયું,પરંતુ ડિસ્ટ્રિબ્યુટરની આડોડાઈને લીધે આ થિયેટરમાં પણ ફિલ્મ રિલીઝ જ ન થઇ!
કટ એન્ડ ઓકે…
‘રણવીર સિંહ જ મારો શક્તિમાન છે’
લોકપ્રિય સિરિયલ ‘શક્તિમાન’ પર બની રહેલી ફિલ્મના ડિરેક્ટર બેસિલ જોસેફે ‘શક્તિમાન’ના કાસ્ટિંગની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.