મેટિની

ભારત-પાક તણાવ મુદ્દે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ શું કામ મૌન છે?

ડી. જે. નંદન

શું ભારત-પાક તણાવ વચ્ચે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પહેલા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ તેમના વ્યવસાયનું ભવિષ્ય જોઇ રહ્યા છે? જી હાં, એવું જ કંઇક છે. ફિલ્મ ગદરના દિગ્દર્શક અનિલ શર્માએ ઝી ન્યૂઝ સાથે વાત કરતાં આ વાત પર ભાર મૂક્યો છે, પરંતુ આ પહેલા કેઆરકેએ ઓપરેશન સિંદૂર પર ખાન સ્ટાર્સ તરફથી કોઇ પ્રતિભાવ ન મળવાને કારણે આવી જ આશંકા વ્યક્ત કરી હતી.

હવે ગદર-2ના દિગ્દર્શક અનિલ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પાકિસ્તાન વિશે
કંઇ પણ આકરું બોલતા પહેલા ઘણી વાર વિચારે છે.

પરંતુ છેલ્લાં 78 વર્ષોમાં આ પહેલી વાર નથી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ થયો હોય કે ન તો પહેલી વાર આ તણાવને કારણે બોલીવૂડ ઉદ્યોગને અસર થઇ હોય. આ પહેલા પણ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે અથવા આતંકવાદી ઘટનાઓને કારણે સરહદો પર તણાવ ઊભો થયો છે ત્યારે બોલિવૂડ ઉદ્યોગને હંમેશા તેની કિંમત ચૂકવવી પડી છે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

1965 અને 1971ના યુદ્ધો દરમિયાન બોલિવૂડ પર સેન્સરથી અને દેશભક્તિની ભાવના પર ભારે પ્રભાવ પડ્યો હતો. ત્યારે યુદ્ધ વખતે ભારતમાં મોટાભાગની ફિલ્મો પાકિસ્તાન વિરુદ્ધ દેશભક્તિની ભાવના ઉપસાવવા પર બની હતી. આવી ફિલ્મોનું પ્રદર્શન હંમેશાં મર્યાદિત હોય છે. પાકિસ્તાનમાં બીજી મનોરંજક ફિલ્મોની જેમ તેને ક્યારેય જોવામાં આવતી નથી.

જો કે તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ સીધો ફિલ્મ વેપાર નહોતો. તેથી તેની આર્થિક અસર અંગે કોઇ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન વર્ષ 1999માં પહેલી વાર બોલિવૂડ અને પાકિસ્તાન વચ્ચે સોફ્ટ ડિપ્લોમેસીના ટ્રેકને ઝાટકો લાગ્યો હતો. તે સમયે ગાયક અદનાન સામી અને અભિનેત્રી ઝેબા બખ્તિયારને લઇને બોલિવૂડમાં ભારે હંગામો થયો હતો.

કારગિલ પછી પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોના વિતરણ પર માત્ર ઔપચારિક પ્રતિબંધ જ લાદવામાં આવ્યો ન હતો, પરંતુ જો કોઇ આવું કરતું જોવા મળે તો ભારે દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી. આ કારણોસર તે સમયે ભારતમાં કામ કરતાં પાકિસ્તાનના લગભગ બે ડઝન કલાકારોને સ્થાનિક રાજકીય કાર્યકરોએ હોબાળો મચાવીને રાતોરાત પાકિસ્તાન જવાની ફરજ પાડી હતી.

આપણ વાંચો: શો-શરાબા- બોલિવૂડ ને પાન-ઇન્ડિયા ફિલ્મ્સની પાક્કી દોસ્તી ક્યારે થશે?

જો કે દર વખતે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ જતી હોય છે. તેથી નવી સદીના બીજા દાયકાના મધ્ય સુધીમાં બોલિવૂડનો પાકિસ્તાની વેપાર ફરી શરૂ થઇ ગયો હતો. પરંતુ વર્ષ 2016માં ઉરી હુમલા બાદ ફરી બોલિવૂડમાં કામ કરતાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રાહત ફતેહ અલી ખાન જેવા સ્ટાર ગાયક માટે પણ ભારતમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. જ્યારે રાહત ફતેહ અલી ખાનના ભારતમાં લાખો ચાહકો છે. કરણ જોહરની ફિલ્મ ‘ઐ દિલ હૈ મુશ્કિલ’માં ફવાદ ખાનની હાજરી લોકોને જરા પણ પસંદ આવી ન હતી. તેથી બાદમાં ફિલ્મને રિલીઝ કરતાં પહેલા આ ફિલ્મ સાથે એક દેશભક્તિનો વીડિયો પણ ઉમેરવામાં આવ્યો હતો.

જો કે 2016 પછીથી અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાનના સાંસ્કૃતિક સંબંધો એટલા ગાઢ બન્યા નથી કે ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની હાજરી મોટા પાયે અનુભવાઇ હોય. તેમ છતાં પહલગામ આતંકવાદી હુમલા સમયે તાજેતરમાં રિલીઝ થવા જઇ રહેલી એક ફિલ્મમાં ફવાદ ખાન જેવા પાકિસ્તાની હીરોની હાજરીને કારણે ફરી બોલિવૂડ વેપારના પૃષ્ઠને ખૂબ કાળજીપૂર્વક બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જે એ વાતનો પુરાવો છે કે ફિલ્મ ઉદ્યોગના લોકો જાણે છે કે ભાવુક ભારતીય સિનેમાના દર્શકો પાકિસ્તાન સાથે કોઇ પણ નિકટના સંબંધો ફિલ્મોમાં સ્વીકારી શકશે?.. અને આ જ કારણ કેટલાક ભારતીય કલાકારોની પાકિસ્તાનમાં રહેલી લોકપ્રિયતાને લઇને પણ છે. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો તણાવમાં આવતા બોલિવૂડના સંબંધો અનેક ગણા વધુ તણાવપૂર્ણ બની જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button