વૈષ્ણવી આત્મહત્યા કેસ: સસરા રાજેન્દ્ર હગવણેની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી

પુણે: પુણેમાં દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનારી વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણેને કોર્ટે મંગળવારે જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. વૈષ્ણવીના પરિવારજનોને ધમકાવવા બદલ ધરપકડ કરાયેલા આરોપી નીલેશ ચવાણની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને કોર્ટમાં હાજર કરાયો હતો.
તપાસકર્તા પક્ષે કોર્ટને કહ્યું હતું કે નીલેશ અને હગવણે પરિવારના સભ્યો વચ્ચે થયેલી ચેટ્સ નીલેશના મોબાઇલમાંથી મેળવવાની બાકી છે. બાદમાં કોર્ટે નીલેશની પોલીસ કસ્ટડી 7 જૂન સુધી લંબાવી હતી.
આપણ વાંચો: વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકાવનારાની લેશ ચવાણને 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી
તપાસકર્તા પક્ષે કોર્ટેને જણાવ્યું હતું કે વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણે અને તેના પુત્ર સુશિલને 14 દિવસની જુડિશિયલ કસ્ટડી આપવામાં આવે તે સામે તેમને કોઇ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે પુણેના બાવધન વિસ્તારમાંના ઘરે 16 મેના રોજ વૈષ્ણવીએ આત્મહત્યા કરી હતી. સાસરિયાંએ વૈષ્ણવીને દહેજ માટે ત્રાસ આપ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ કર્યો હતો. રાજેન્દ્રને બાદમાં એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
આપણ વાંચો: વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકી આપનાર નેપાળ સરહદ પરથી પકડાયો…
દહેજ ઉત્પીડન અને આત્મહત્યાના કેસમાં વૈષ્ણવીના પતિ શશાંક, સસરા રાજેન્દ્ર, દિયર સુશિલ, સાસુ લતા તથા કરિશ્માની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન વૈષ્ણવીના પરિવારને બંદૂક દેખાડીને ધમકાવવા બદલ વાર્જે પોલીસ સ્ટેશનમાં નીલેશ ચવાણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
બીજી તરફ વૈષ્ણવીનું નવ મહિનાનું બાળક નીલેશ પાસે હતું અને તેની યોગ્ય સંભાળ ન રાખવા બદલ બાવધન પોલીસ સ્ટેશનમાં તેની સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભારત-નેપાળ સીમા નજીક ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતેથી ગયા સપ્તાહે નીલેશ ચવાણને પકડી પાડવામાં આવ્યો હતો. (પીટીઆઇ)