વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, મહારાષ્ટ્રના આ જીલ્લામાં બની ઘટના

સોલાપુર: ઇન્ડિયન રેલવેની પ્રીમીયમ ટ્રેન સર્વિસ વંદે ભારત એક્સપ્રેસ શરુ થયા બાદથી, વિવિધ રૂટ્સ પર ચાલતી આ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ (Stone pelting Vande Bharat Express Train) બની છે. તાજેતરમાં મહારાષ્ટ્રના સોલાપુર (Solapur)માં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થવાની ઘટના બની હતી.
મુંબઈથી સોલાપુર જતી વંદે ભારત ટ્રેન પર જેઉર રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યા હતાં. જેના કારણે C-11 કોચનો કાચ તૂટી ગયો હતો. અહેવાલ મુજબ પથ્થરમારાની આ ઘટનામાં કોઈને ઈજા થઇ નથી. રેલવે અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં પણ બની આવી જ ઘટના:
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં પણ આવી જ ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે ઉનામાં અલગ-અલગ જગ્યાએ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નથી, પરંતુ ટ્રેનના ઘણા કાચને નુકસાન થયું છે.
આપણ વાંચો: મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર, આ તારીખથી નવું સમયપત્રક લાગુ થશે
પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા:
ઉના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે જે સ્થળે ઘટના બની હતી, તે જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) ના દસ કર્મચારીઓને ટ્રેનમાં તૈનાત કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે.”
પ્રવક્તાએ કહ્યું કે ચંદીગઢથી છ આરપીએફના જવાનો સોમવારે રાત્રે વંદે ભારત ટ્રેનમાં ચડ્યા હતા, જ્યારે બે આરપીએફ અને બે જીઆરપીના જવાનો નાંગલ અને ઉનાથી ટ્રેનમાં ચઢ્યા હતા.