બોઈસરમાં જ્વેલરી શૉપમાં ગોળીબાર:લૂંટ ચલાવ્યા વગર જ લૂંટારા ફરાર…

પાલઘર: બોઈસરમાં જ્વેલરી શૉપમાં ઘૂસેલી લૂંટારા ટોળકીએ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર પણ કર્યા હતા, પરંતુ બાદમાં લૂંટ ચલાવ્યા વિના જ ટોળકી ફરાર થઈ ગઈ હતી. 
બોઈસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ ગણેશ નગર પરિસરમાં બની હતી. લૂંટારાઓની ટોળકીએ દુકાનમાં ઘૂસીને આતંક મચાવી દીધો હતો. એક લૂંટારાએ તો પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ સદ્નસીબે ગોળીબારમાં કોઈને ઇજા થઈ નહોતી. ગોળીબારનો અવાજ સાંભળી રાહદારીઓનું ટોળું ભેગું થવા લાગ્યું હતું. ડરના માર્યા લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. જોકે તેમની પિસ્તોલ દુકાન પર પડી ગઈ હતી.
બનાવની જાણ થતાં બોઈસર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ તાબામાં લીધી હતી. પિસ્તોલને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાઈ હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે બોઈસર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)
 
 
 
 


