પ્રેમી પંખીડાંનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત

પાલઘર: પરિણીત પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહ ઝાડ પર લટકેલી અવસ્થામાં મળી આવતાં બન્નેએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકામાં બનેલી આ ઘટનામાં જીવ આપનારા બન્નેના પરિવારજનોએ તેમના સંબંધોનો વિરોધ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ નરેશ લહુ નાડગે (35) અને સારિકા શંકર મહાલા (24) તરીકે થઈ હતી. બન્નેના મૃતદેહ મંગળવારે વિક્રમગડ તાલુકાના સરશી ગામમાંથી એક ઝાડ સાથે ગળાંફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પરિણીત નરેશ બે સંતાનનો પિતા હતો, જ્યારે સારિકા અપરિણીત હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ તેમના પરિવારજનો અને ગામવાસીઓએ આ સંબંધનો વિરોધ કર્યો હતો. પરિણામે બન્ને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.
આપણ વાચો: જીત પાબારી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ શરૂ; ડિપ્રેશન, દુષ્કર્મ કેસ કે ધંધો? તપાસમાં થશે નવા ખુલાસા
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સોમવારે બન્ને જણ કુટુંબીજનોને ખોટાં કારણ બતાવી ઘરેથી નીકળ્યા હતા. પછી મંગળવારની સવારે અમુક ગામવાસીઓની નજર બન્નેના મૃતદેહ પર પડી હતી. બન્નેએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ સૂચવે છે, એમ વિક્રમગડ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર અજિત ગોલેએ જણાવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ અહીંના ગામવાસીઓ આવા સંબંધો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ અને ભાવનાત્મક છે. તેઓ આક્રમક પગલાં લઈ શકે છે. તેથી આવા મુદ્દે કાઉન્સેલિંગની જરૂર છે. (પીટીઆઈ)



